25 July, 2021 01:48 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બંધાય એ બીજા : ફ્રાન્સ સરકારના કેટલાક કામદારો અને કર્મચારીઓ માટે ફરજિયાત ઍન્ટિ-કોવિડ વૅક્સિનેશન અને એ દર્શાવતા હેલ્થ પાસ સાથે રાખવાનું ફરજિયાત બનાવતા આદેશ સામે પૅરિસમાં ગઈ કાલે મોટા સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને મોટા પાયે તોડફોડ સાથે વિરોધ કર્યો હતો. (તસવીરઃ એ.એફ.પી.)
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસીસ ઘટતા દિલ્હી સરકાર દ્વારા સોમવારથી નિયંત્રણોમાં મોટી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
દિલ્હીની લાઇફલાઇન ગણાતી મેટ્રો ટ્રેનોને હવે સંપૂર્ણ કૅપેસિટી સાથે દોડવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત બાર અને રેસ્ટૉરાંઓ પણ ૫૦ ટકા સીટિંગ ક્ષમતા સાથે ખોલવા દેવાની છૂટ દિલ્હી સરકાર દ્વારા આપવાની જાહેરાત કરાઈ છે.
સેકન્ડ વેવની શરૂઆત પહેલાંની જ જેમ દિલ્હી શહેરમાં તમામ થિએટરોને તેમની ક્ષમતાની ૫૦ ટકાએ ખોલવા દેવાની પરમિશન આપવામાં આવી છે.
દિલ્હીમાં છેલ્લા દસેક દિવસથી કોરોનાના કેસીસ એકદમ જ નિયંત્રણમાં છે અને આ પરિસ્થિતિને જોતા કેજરીવાલ સરકાર દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે.
સુરત: કૉન્ગ્રેસના નેતા ધીરુ ગજેરાએ વિધિવત રીતે બીજેપીનો ખેસ ધારણ કર્યો છે. સુરત બીજેપી કાર્યાલય ખાતે ધીરુ ગજેરા વિધિવત રીતે બીજેપીની સાથે જોડાયા છે. વર્ષ ૨૦૦૭માં તેઓ બીજેપીથી વિખૂટા પડ્યા હતા અને હવે તેઓ ફરીથી બીજેપીની સાથે જોડાઈ ગયા છે. બીજેપી પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ધીરુ ગજેરાને કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા છે. ધીરુ ગજેરાની સાથે કૉન્ગ્રેસના ઉપપ્રમુખ પ્રતાપ દરબાર, સુરત કૉન્ગ્રેસના મહામંત્રી રાઇસંગ મોરી, સુરત કૉન્ગ્રેસનાં મહિલા ઉપપ્રમુખ અમિતા અગ્રાવત અને સુરત કૉન્ગ્રેસના મંત્રી જમન ઠેસિયાએ પણ કેસરિયો ખેસ કર્યો હતો.
શ્રીનગર: સીબીઆઇએ ગન લાઇસન્સને મામલે ગઈ કાલે શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીરના આઇએએસ અધિકારી ઇકબાલ ચૌધરીના નિવાસસ્થાન સહિત ૪૦ ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ પગલું ૨૦૧૯માં દાખલ કરાયેલા એક કેસને લીધે ઉઠાવવામાં આવ્યું છે. આરોપ છે કે ૨૦૧૨ અને ૨૦૧૬ વચ્ચે જમ્મુ-કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં કમિશનરે રૂપિયાની લાલચમાં બનાવટી અને ગેરકાયદે રીતે શસ્ત્રોનાં લાઇસન્સ જાહેર કર્યાં હતાં. ચૌધરી ૨૦૦૯ બેન્ચના આઇએએસ અધિકારી છે અને તેઓ હાલમાં જમ્મુ-કાશ્મીરના જનજાતિય કેસ વિભાગના વહીવટી સચિવ તરીકે તહેનાત છે.
નવી દિલ્હી: કાવડયાત્રાની પૂર્વ સંધ્યાએ ઉત્તરાખંડ પોલીસે હરિદ્વાર શહેરને સીલ કર્યું છે. કાવડયાત્રાનો કાર્યક્રમ આજથી નિર્ધારિત હતો. રાજ્ય સરકારે કોરોના રોગચાળાને કારણે કાવડયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી તેની ઉજવણી સંદર્ભે કોઈને હરિદ્વારમાં પ્રવેશ નહીં આપવાની જાહેરાત પોલીસે કરી હતી. આ પ્રતિબંધ બસો અને ટ્રેનોને પણ લાગુ પડે છે. ઇન્ટર સ્ટેટ બોર્ડર મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એ મીટિંગમાં ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી અને હરિયાણાના અમલદારો હાજર હતા.
ઉત્તરાખંડના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ અશોક કુમારે જણાવ્યું હતું કે ‘પ્રતિબંધના પાલન માટે હરિદ્વાર જિલ્લાની સરહદો પર બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો વચ્ચેનાં સમીકરણોમાં ઝડપી ગતિએ ફેરફાર થઈ રહ્યો છે. એઆઇએમઆઇએમના અસદુદ્દીન ઓવૈસીએ સમાજવાદી પાર્ટી સાથે જોડાણ માટેની એક નવી શરત રજૂ કરી છે. હાલમાં એઆઇએમઆઇએમ ઓમ પ્રકાશ રાજભરના નેતૃત્વ હેઠળના ભાગીદારી સંકલ્પ મોરચાનો હિસ્સો છે. એઆઇએમઆઇએમના ઉત્તર પ્રદેશ એકમના ચીફ શૌકત અલીના મતાનુસાર જો સમાજવાદી પાર્ટી મુસ્લિમ વિધાનસભ્યને મોર્ચાના નાયબ મુખ્ય પ્રધાન બનાવવા સહમત થાય તો તેઓ અખિલેશ યાદવના પક્ષ સાથે જોડાણ કરવા તૈયાર છે.