મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક્સપર્ટ્સને તેમના ઑપિનિયન્સ દિલ્હી ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીને જણાવવા કહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં અનેક રાજ્યોએ પણ અગમચેતીનાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. અહીં કેટલાંક રાજ્યોની તૈયારીઓ પર એક નજર કરીએ.
ગુજરાત : ગુજરાત સરકારે કોરોનાથી અસરગ્રસ્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓનો ઍરપોર્ટ પર જ ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. યુરોપ, યુકે, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, બંગલા દેશ, બૉટ્સવાના, ચીન, મોરેશિયસ, ન્યુ ઝીલૅન્ડ અને ઝિમ્બાબ્વેથી આવનારા પેસેન્જર્સે ફરજિયાત ટેસ્ટ કરાવવી પડશે.
દિલ્હી : દિલ્હી સરકારની મહત્ત્વની એક મીટિંગ સોમવારે મળવાની છે, જેમાં કેવાં પ્રકારનાં પગલાં લેવાવાં જોઈએ એ વિશે ચર્ચા કરવામાં આવશે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક્સપર્ટ્સને તેમના ઑપિનિયન્સ દિલ્હી ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીને જણાવવા કહ્યું છે.
કર્ણાટક : કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે. સુધાકરે જણાવ્યું હતું કે આ નવા વેરિઅન્ટના સંબંધમાં તેઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંપર્કમાં છે. જ્યાં આ વેરિઅન્ટના કેસ આવ્યા છે એ દેશોમાંથી બૅન્ગલોરમાં આવનારા લોકોની આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો કોઈ પૉઝિટિવ જણાશે તો તેમને ઍરપોર્ટમાં કે ઍરપોર્ટની આસપાસ રહેવા માટે કહેવામાં આવશે. એ દેશોમાંથી આવતા લોકો માટે હોમ ક્વૉરન્ટીન પણ ફરજિયાત કરાયું છે.
ઉત્તરાખંડ : આ રાજ્યમાં સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે ટેસ્ટિંગ વધાર્યું છે. રાજ્ય સરકારે જાહેર સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન અને હૉસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવાનો પણ સ્થાનિક વહીવટી તંત્રને આદેશ આપ્યો છે.
‘વૅક્સિન્સ ઓમિક્રોન વિરુદ્ધ અસરકારક હોવાનું જણાય છે’
નવા વેરિઅન્ટ સામે કોરોનાની વૅક્સિન્સ અસરકારક રહેશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે ત્યારે જ્યાં આ વેરિઅન્ટના કેસ આવ્યા છે એ સાઉથ આફ્રિકાના હેલ્થ મિનિસ્ટર જો ફાહલાએ એના વિશે ગઈ કાલે નોંધપાત્ર વાત કહી હતી. તેમનું કહેવું છે કે કોરોનાની અત્યારે અવેલેબલ વૅક્સિન્સ ઓમિક્રોન વિરુદ્ધ અસરકારક હોવાનું જણાય છે. ઓમિક્રોન એના જિનેટિક કમ્પોઝિશનના કારણે વધુ ચેપી હોઈ શકે છે.
ચીનમાં ત્રણ કેસ આવતાં ૫૦૦ ફ્લાઇટ્સ કૅન્સલ, સ્કૂલ્સ બંધ
શાંઘાઈમાં શુક્રવારે કોરોનાના ત્રણ નવા કેસ આવ્યા બાદ ૫૦૦ ફ્લાઇટ્સને કૅન્સલ કરી દેવામાં આવી છે અને અનેક સ્કૂલ્સને બંધ કરાઈ છે. ચીન કોરોનાને રોકવા માટે સતત સ્ટ્રિક્ટ ઍક્શન લઈ રહ્યું છે. આ ત્રણ પૉઝિટિવ કેસ મિત્રોમાં છે, જેઓ નજીકની સુઝો સિટીમાં ગયા અઠવાડિયે ગયા હતા. એ ત્રણેય ફુલ્લી વૅક્સિનેટેડ છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ત્રણેય કેસ નવા વેરિઅન્ટના છે. જોકે સત્તાવાર રીતે આ વિશે જણાવવામાં આવ્યું નથી. શાંઘાઈની સરકારે આ મુખ્ય કમર્શિયલ અને ટૂરિઝમ હબમાં તમામ ટૂર પૅકેજ કૅન્સલ કરવાનો પણ આદેશ આપ્યો છે.
જર્મનીમાં પણ ઓમિક્રોનની એન્ટ્રીની શંકા
ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી જર્મનીમાં પણ થઈ હોવાની શંકા છે. જર્મનીના પશ્ચિમી રાજ્ય હેસ્સના સોશ્યલ અફેર્સ મિનિસ્ટર કઈ કિઓસે જણાવ્યું હતું કે ‘ઓમિક્રોન વેરિઅન્ટ ઑલરેડી જર્મનીમાં આવી પહોંચ્યો હોવાની પૂરેપૂરી શક્યતા છે.’ જર્મનીમાં સાઉથ આફ્રિકાથી આવેલી એક વ્યક્તિ આ વેરિઅન્ટથી સંક્રમિત થઈ હોવાની શંકા છે. જર્મની સહિત સમગ્ર યુરોપે આફ્રિકન દેશો સાથેના ઍર-ટ્રાવેલ પર બૅન મૂકી દીધો છે.
ચેતવણીઃ બાંધકામને કારણે ઉત્તરાખંડનું ગામ નીચે સરકી રહ્યું છે
ઉત્તરાખંડના ધારચૂલા સબ-ડિવિઝનમાં આવેલી દાર્મા ખીણનું પહેલું ગામ ડારના નીચેની જમીન સતત નબળી પડી રહી હોવાથી ધીમે-ધીમે નીચેની તરફ સરકી રહ્યું છે, જેના લીધે એ માનવ વસાહત માટે અનુકૂળ રહ્યું ન હોવાનું જિલ્લા વહીવટીતંત્રના આદેશને પગલે ગામનો સર્વે કરનારા એક ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું હતું.
ગામમાં રહેતા કુલ ૧૫૦ પરિવારોમાંથી ઓછામાં ઓછા ૩૫ પરિવારોનાં ઘર ધીમે-ધીમે નીચેની તરફ સરકી રહ્યાં હોવાથી તેમને તાત્કાલિક અન્ય સલામત સ્થળે ખસેડવા જરૂરી છે, એમ તાજેતરમાં ગામનો સર્વે કરનારા ભૂસ્તરશાસ્ત્રીઓની ટીમે જણાવ્યું હતું. આ મામલે તાત્કાલિક પગલાં લેેવાની જરૂર હોવાનું આ ટીમે જણાવ્યું હતું.
અમેરિકાએ ૨૬/૧૧ના ગુનેગારો વિરુદ્ધ ટ્રાયલ ઝડપી કરવા જણાવ્યું
૨૬/૧૧ના આતંકવાદી હુમલાની ૧૩મી વરસીએ મુંબઈગરાના દૃઢ મનોબળ અને આતંકના ઓછાયામાંથી ફરી બેઠા થવાની માનસિકતાને વખાણતાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિનકેને વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાન પ્રેરિત એલઈટી આતંકવાદીઓ દ્વારા કરાયેલા કતલેઆમના ગુનેગારોની વિરુદ્ધ ટ્રાયલ ઝડપી કરવા પર ભાર મૂક્યો હતો. ૨૬/૧૧ના આતંકવાદી હુમલાને ૧૩ વર્ષ વીતી ગયાં છે અને આ દિવસે અમે આતંકવાદી હુમલાનો ભોગ બનેલા છ અમેરિકન અને મુંબઈગરા તમામને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ એમ તેઓએ ટ્વીટ કરી કહ્યું હતું. આ પહેલાં ભારતે પણ પાકિસ્તાનને ગુનેગારો વિરુદ્ધની સુનાવણી ઝડપી ચલાવવા કહ્યું હતું.
ઍરસેલ-મેક્સિસ કેસમાં કોર્ટે ચિદમ્બરમને સમન્સ મોકલાવ્યા
ઍરસેલ-મેક્સિસ કેસમાં સીબીઆઇ અને ઈડીએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિની વિરુદ્ધ ફાઇલ કરેલી ચાર્જશીટની નોંધ લઈને દિલ્હી હાઈ કોર્ટે તેમને ૨૦ ડિસેમ્બરે કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. ચિદમ્બરમ અને તેમના પુત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને મની લૉન્ડરિંગના કરાયેલા કેસમાં સમન્સ પાઠવવા પર્યાપ્ત પુરાવાઓ હોવાનું નોંધ્યા બાદ સ્પેશ્યલ જજ એમ. કે. નાગપાલે આ આદેશ પસાર કર્યો હતો. આ કેસમાં તપાસ માટે વિદેશોમાંથી પણ માહિતી મંગાવાઈ રહી છે.
એમએસપી માટેની કમિટીમાં ખેડૂતોના પ્રતિનિધિઓ રહેશે
સંસદના શિયાળુ સત્ર પહેલાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંઘ તોમરે ગઈ કાલે ખેડૂતોને આંદોલનનો અંત લાવવાની અપીલ કરી હતી. એમએસપી માટે કાયદેસરની ગૅરન્ટી ખેડૂતોની મુખ્ય માગણી છે ત્યારે એના વિશે તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રોપ ડાઇવર્સિફિકેશન, ઝીરો બજેટ ફાર્મિંગ અને એમએસપી માટે સિસ્ટમ બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. આ કમિટીમાં ખેડૂતોના પ્રતિનિધિઓ પણ રહેશે.’
તોમરે એમ પણ કન્ફર્મ કર્યું હતું કે સોમવારથી શરૂ થતાં શિયાળુ સત્રના પહેલાં જ દિવસે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાના બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે.
તાલિબાનના મોટા નેતાઓ પાકિસ્તાનની મદરેસામાં ભણ્યા છે
પાકિસ્તાનની સૌથી વિશાળ અને જૂની મદરેસાઓમાં સામેલ દારુલ ઉલૂમ હક્કાનિયા મદરેસાને એના ટીકાકારો દ્વારા ‘યુનિવર્સિટી ઑફ જેહાદ’ ગણાવવામાં આવી છે. આ મદરેસા પર દશકાઓથી એશિયામાં આતંકવાદના બીજ રોપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હવે એક અહેવાલ અનુસાર મોટા ભાગના તાલિબાની નેતાઓ અહીં જ ભણ્યા છે. એટલું જ નહીં અહીંથી ભણીને બહાર આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજમાં મહત્ત્વની જગ્યાઓ પર છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રદેશમાં આવેલી આ મદરેસાની અફઘાનિસ્તાન પર ખૂબ જ અસર છે. વાસ્તવમાં આ મદરેસામાંથી ભણીને બહાર આવેલા લોકોએ જ તાલિબાની મૂવમેન્ટ શરૂ કરી હતી અને ૧૯૯૦ના દશકમાં અફઘાનિસ્તાનમાં રાજ કર્યું હતું. આ મદરેસાના વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીતને ગર્વની બાબત તરીકે જુએ છે.