20 October, 2020 02:01 PM IST | New Delhi | Agency
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં એક દિવસમાં કોરોના વાઇરસના નવા ઇન્ફેક્શનની સંખ્યા આ મહિને બીજી વખત ૬૦,૦૦૦ કરતાં ઓછી નોંધાઈ હતી, જ્યારે લગભગ ત્રણ મહિના બાદ મૃત્યુનો આંકડો ૬૦૦ કરતાં નીચો ગયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર માલૂમ પડ્યું હતું.
ચોવીસ કલાકમાં ૫૫,૭૨૨ નવા કેસ નોંધાવા સાથે કેસની કુલ સંખ્યા ૭૫,૫૦,૨૭૩ નોંધાઈ હતી.
આ અગાઉ ૧૩ ઑક્ટોબરના રોજ ભારતમાં દૈનિક ધોરણે ૬૦,૦૦૦ કરતાં ઓછા કેસ નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૯ લોકોએ જીવ ગુમાવતાં કુલ મૃત્યુ આંક ૧,૧૪,૬૧૦ થયો હતો. જ્યારે સતત ત્રીજા દિવસે અૅક્ટિવ કેસની સંખ્યા આઠ લાખ કરતાં નીચે રહી હતી. દેશમાં કોરોનાના ૭,૭૨,૦૫૫0 અૅક્ટિવ કેસ છે.
સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૬૬,૬૩,૬૦૮ થઈ છે અને રાષ્ટ્રીય સ્તરે રિકવરી રેટ સુધારા સાથે ૮૮.૨૬ ટકા નોંધાયો હતો. આઇસીએમઆરના જણાવ્યા પ્રમાણે રવિવારે ૮,૫૯,૭૮૬ સૅમ્પલ્સ ટેસ્ટ કરવા સાથે ૧૮ ઑક્ટોબર સુધીમાં કુલ ૯,૫૦,૮૩,૯૭૬ સૅમ્પલ્સનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.