27 November, 2020 11:51 AM IST | New Delhi | Agency
પ્રતીકાત્મક તસવીર
ભ્રષ્ટાચાર વિશે સર્વેક્ષણ કરનારી સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનૅશનલના સર્વેક્ષણ અનુસાર ભ્રષ્ટાચારમાં એશિયામાં ભારત મોખરે છે. સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યા પ્રમાણે એશિયામાં સરકારી સેવાઓ મેળવવા માટે ૫૦ ટકા લોકો પાસે લાંચ માગવામાં આવે ત્યારે તેઓ લાંચ આપે છે અને ૩૨ ટકા લોકો તેમની અંગત ઓળખાણો તથા લાગવગનો ઉપયોગ કરીને લાંચ આપીને સરકારી કામો કરાવે છે.
ગઈ ૧૭ જૂનથી ૧૭ જુલાઈ સુધી ૨૦૦૦ની સૅમ્પલ સાઇઝ નક્કી કરીને સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે એશિયામાં નોંધાતા લાંચખોરી-ભ્રષ્ટાચારના કિસ્સામાં ભારતનો હિસ્સો સૌથી વધારે ૩૯ ટકા હોય છે, એમાં ભારતમાં અંગત ઓળખાણો અને લાગવગ વાપરીને કામ કરાવનારાઓનું પ્રમાણ ૪૬ ટકા હોય છે. એનાં કારણોમાં નોકરશાહી અને તુમારશાહીની જટિલ પ્રક્રિયા તેમ જ સગાંવાદ જેવી અનેક બાબતો સર્વેક્ષણમાં નોંધાઈ છે.