ચીન સામે લડવા લદ્દાખ સીમાએ ભારતે મોકલ્યાં છે ઇગ્લા મિસાઇલ

26 August, 2020 08:56 AM IST  |  New Delhi | Agencies

ચીન સામે લડવા લદ્દાખ સીમાએ ભારતે મોકલ્યાં છે ઇગ્લા મિસાઇલ

ઇગ્લા મિસાઇલ

છેલ્લા ઘણા સમયથી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ ધીમે-ધીમે ઘટવાને બદલે વધી રહ્યો છે. ચીને ભારત સાથેની સરહદ પર લશ્કરી પ્રવૃત્તિ પણ વધારી દીધી છે ત્યારે ભારત પણ ચીનની દરેક ચાલનો જવાબ આપવા માટે સક્ષમ છે. પૂર્વી લદ્દાખ બૉર્ડર પર ભારતીય સેનાએ ઇગ્લા મિસાઇલ સાથે જવાનોને તહેનાત કર્યા છે. આ વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ ઊંચાઈવાળી જગ્યાઓ પર ઇગ્લા મિસાઇલ સાથે જવાનોની તહેનાતી કરવામાં આવી છે.

મૂળ રશિયાની બનાવટની આ મિસાઇલ ત્યારે કામ આવશે, જ્યારે દુશ્મન દેશનાં વિમાનો આપણા ઍરસ્પેસમાં ઘૂસવાનો પ્રયાસ કરશે. સામાન્ય શબ્દોમાં કહીએ તો આ મિસાઇલને ખભા પર રાખીને પ્રહાર કરવાનો હોય છે. આ મિસાઇલ હોલિકૉપ્ટર અને ફાઇટર વિમાનને પણ ધરાશાયી કરવામાં સક્ષમ છે એટલે કે દુશ્મનોનું કોઈ પણ વિમાન, ડ્રૉન કે હેલિકૉપ્ટર આપણા વિસ્તારમાં ઘૂસશે તો એના માટે ઇગ્લા મિસાઇલ ખતરા સમાન છે.

ભારતીય થળસેના અને વાયુસેના બન્ને દ્વારા આ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માત્ર આટલું જ નહીં, પણ ભારતે સરહદ પર દુશ્મનો પર નજર રાખવા માટે રડાર તેમ જ ઍર મિસાઇલ સિસ્ટમની પણ ગોઠવણ કરી છે.

china india ladakh terror attack national news