19 February, 2020 04:04 PM IST |
અહમદ પટેલ
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેઝરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને સમન્સ મોકલ્યું છે. હવે અહમદ પટેલને ૪૦૦ કરોડ રૂપિયાના હવાલા કેસમાં ઇન્કમ-ટૅક્સ વિભાગ પૂછપરછ હાથ ધરશે.
આવકવેરા વિભાગે પટેલને રૂપિયા ૪૦૦ કરોડના હવાલા ટ્રાન્ઝેક્શન કેસમાં નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ વિભિન્ન કંપનીઓ દ્વારા કૉન્ગ્રેસ પાર્ટીને મોકલવામાં આવેલા ૪૦૦ કરોડ રૂપિયાથી વધારાના હવાલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહ્યું છે. અગાઉ ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે અહમદ પટેલને ૧૧ ફેબ્રુઆરીએ સમન્સ મોકલ્યું હતું અને ૧૪ ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું હતું. આ સમન્સ આઇટી-અૅક્ટની સેક્સન ૧૩૧ અંતર્ગત મોકલવામાં આવ્યું હતું.
જોકે અહમદ પટેલે તબિયત ખરાબ હોવાનું કારણ જણાવીને ઇન્કમ-ટૅક્સ વિભાગના અધિકારીઓ સમક્ષ હાજર થયા નહોતા. અહમદ પટેલે જણાવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને હાલ તેઓ ફરીદાબાદની એક હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે હજુ સુધી એવી જાણકારી નથી મળી રહી કે અહમદ પટેલ આ વખતે પણ આવકવેરા વિભાગ સમક્ષ હાજર થશે કે કેમ? ઇન્કમ-ટૅક્સ વિભાગના સમન્સ પર અહમદ પટેલ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.