8 સંસદસભ્યો સસ્પેન્ડ: કૃષિ બિલ વખતે રાજ્યસભા માથે લેનાર

22 September, 2020 02:30 PM IST  |  New Delhi | Agency

8 સંસદસભ્યો સસ્પેન્ડ: કૃષિ બિલ વખતે રાજ્યસભા માથે લેનાર

સંસદ

રાજ્યસભામાં ખેડૂત ખરડો રજૂ કરાયો હતો એ દરમ્યાન અશિષ્ટ વર્તન કરવા બદલ ગઈ કાલે ટીએમસીના નેતા ડેરેક ઓ’બ્રાયન અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સહિત આઠ સંસદસભ્યને ચોમાસાના સત્રના બાકીના દિવસો માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા હતા. સસ્પેન્ડ કરાયેલા અન્ય સભ્યોમાં કૉન્ગ્રેસના રાજીવ સાટમ, સીપીએમના કે. કે. રાજેશ, કૉન્ગ્રેસના સૈયદ નાઝિર હુસેન અને રૂપીન બોરેન, ટીએમસીના ડોલા સેન તથા સીપીએમના એલામારામ કરીમનો સમાવેશ થાય છે.

અધ્યક્ષ એમ. વેન્કૈયા નાયડુએ રવિવારે ખરડાને મંજૂર કરતી વેળાના રાજ્યસભાના સભ્યોના વર્તનને ખૂબ જ દુર્ભાગ્યશાળી, અસ્વીકાર્ય અને વખોડવાપાત્ર તેમ જ સંસદની વિશેષ કરીને ઉપલા ગૃહની છબીને કલંકિત કરનારું ગણાવ્યું હતું. સંસદના આઠ સભ્યોના સસ્પેન્શનના મુદ્દે વિરોધ પક્ષોએ ગઈ કાલે પણ તેમનો વિરોધ ચાલુ રાખતાં ભારે ધાંધલ વચ્ચે રાજ્યસભાનું કાર્ય મંગળવારે સવારે નવ વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવ્યું હતું.

વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને અન્ય ૪૬ સંસદસભ્યો દ્વારા રવિવારે અવ્યવસ્થા અને ધાંધલ વચ્ચે પણ ખુરશી પર બેસી રહેલા નાયબ અધ્યક્ષ હરિવંશ વિરુદ્ધ પસાર કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તને તેમણે એમ કહીને નકારી કાઢી હતી કે આ દરખાસ્ત યોગ્ય ફૉર્મેટમાં નથી તેમ જ એ માટે આવશ્યક ૧૪ દિવસનો નોટિસ પિરિયડ પણ આપવામાં આવ્યો નથી.

વિરોધ પક્ષના સભ્યોના વિરોધ અને અરાજકતાભર્યા વર્તન તેમ જ સૂચિત કાયદાને વધુ તપાસ કરવા માટે હાઉસ પૅનલમાં મોકલવાની માગણી વચ્ચે રવિવારે રાજ્યસભામાં ભારે ધાંધલ અને અરાજકતા વચ્ચે બે ખેડૂત બિલ પસાર કરવામાં આવ્યાં હતાં.

મંડી અને એમએસપી રહેશે જ : વડા પ્રધાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ભારપૂર્વક કહ્યું હતું કે સંસદમાં પસાર કરાયેલું ફાર્મ સેક્ટર રિફૉર્મ બિલ ૨૧મી સદીના ભારતની જરૂરિયાત છે. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે લઘુતમ ટેકાના ભાવની યંત્રણા સાથે સરકાર તેમનાં ઉત્પાદનોની ખરીદી કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે ખેડૂતો લાંબા સમયથી તેમની મજબૂરીઓનો લાભ ઉઠાવનારાઓથી ઘેરાયેલા રહ્યા હતા. આ વ્યવસ્થા બદલવાની જરૂર હતી અને તેમની સરકારે આ કાર્ય કર્યું છે. તેમની સરકાર કૃષિ વટહુકમ લઈ આવી છે, જે જૂનમાં અમલી બનશે એ નોંધતાં તેમણે કહ્યું હતું કે અનેક રાજ્યોમાં ખેડૂતોને તેમનાં ઉત્પાદનોની સારી કિંમત મળે છે.

એમએસપીમાં વધારો જાહેર કર્યો સરકારે

સંસદમાં કૃષિ વિધેયક પર વિપક્ષના હંગામા વચ્ચે સરકારે સોમવારે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો કરવાની જાહેરાત કરી છે. ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 50નો વધારો કર્યો છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌથી વધારે મસૂરના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઘઉંના ભાવમાં ૫૦ રૂપિયાના ક્વિન્ટલે વધારો કરીને ૧૯૭૫ કરવામાં આવ્યા છે. આ જ રીતે જુવારના ભાવમાં ક્વિન્ટલે ૭૫, સરસવમાં ક્વિન્ટલે ૨૨૫ અને મસૂરમાં ક્વિન્ટલે ૩૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

new delhi national news venkaiah naidu