24 July, 2026 09:12 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથેની બેઠક બાદ સોનમ વાંગચુકે પારણાં કર્યાં હતાં.
NEETના પેપર લીક (NEET Paper Leak)ના મુદ્દાને લઇને દિલ્હીના જંતરમંતર ખાતે વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું છે. દેશભરમાં પેપર લીકનો વિરોધ પણ થઇ રહ્યો છે. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પણ આ આંદોલનને સમર્થન આપતાં ધરણાં કર્યા હતા. પરંતુ હવે સોનમ વાંગચુકે તેમના ૨૬ દિવસની ભૂખ હડતાળ પુરી કરી છે. કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા અને જીતેન્દ્ર સિંહ વચ્ચેની બેઠક બાદ તેઓએ પારણાં કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ ગઇકાલે મોડી રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીટ પેપર લીક મુદ્દે એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો અને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. પરંતુ વિદ્યાર્થીઓનું આંદોલન પૂર્ણ રીતે તો બંધ નથી જ થયું તેમ મોડી રાત્રે ક્રોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક પ્રમુખ અભિજીત દીપકેએ આપેલ પોસ્ટ પરથી જણાઈ રહ્યું છે.
અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને એ વાતની સ્પષ્ટતા કરી હતી કે સોનમ વાંગચુકે તેમની ભૂખ હડતાળ (NEET Paper Leak) પુરી કરી દીધી હોવા છતાં જંતર મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન તો ચાલુ જ રહેશે. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, "અમને એ વાતની રાહત છે કે સોનમ સરે તેમની ૨૬ દિવસની ભૂખ હડતાળને સંકેલી લીધી છે. પણ અમે તેમની અસાધારણ હિંમત અને બલિદાન માટે તેમનો આભાર માનીએ છીએ. તેઓએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ આ મુદ્દા તરફ આખા દેશનું ધ્યાન દોર્યું હતું. તેમનું હોવું આ દેશ માટે ખૂબ જ જરૂરી છે.
આ સાથે જ અભિજીત દીપકેએ એ પણ સ્પષ્ટ કહી જ દીધું છે કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી જંતર મંતર પર ક્રોક્રોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન યથાવત જ રહેવાનું છે.
અભિજીત દીપકેએ ફરી એકવાર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર રાજકીય અને નૈતિક જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. સીજેપીએ કહ્યું છે કે તેમણે નીટ પેપર લીક (NEET Paper Leak)ની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ.
પહેલીવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીટ પેપર લીક (NEET Paper Leak) મુદ્દે સત્તાવાર રીતે એક વિડીયો મેસેજ જવાબ આપ્યો છે. ગઇકાલે મોડી રાત્રે એક વીડિયો મેસેજમાં જણાવ્યું હતું કે સરકારે ગુનેગારો સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે એક નવું કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે પેપર લીક કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જેલભેગા પણ કરવામાં આવ્યા છે. લગભગ ૨૨ લાખ વિદ્યાર્થીઓના વરસને બચાવવા માટે વહેલી તકે રીએક્ઝામ પણ લેવામાં આવી હતી. અને ૧૯ મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટે એક નવો કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ ખરડાને મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે. સરકાર સંસદના બીજા સપ્તાહમાં આ બિલને પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે.