21 February, 2021 09:05 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી
આજે ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની એક મોટી બેઠક યોજાવાની છે. આ બેઠકને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સંબોધિત કરશે. આ બેઠક દિલ્હીના એનડીએમસી કન્વેન્શન સેન્ટરમાં સવારે 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યાની વચ્ચે થશે. પીએમ મોદી આ બેઠકનું ઉદ્ઘાટન કરશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓ સિવાય રાજ્ય પ્રભારી અને સહ પ્રભારી સાથે તેમ જ રાજ્ય એકમના વડા પણ સામેલ થશે.
જેપી નડ્ડાએ કરી મહત્વની બેઠક
આની પહેલા શનિવારે ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના સંગઠન જનરલ સેક્રેટરીઓની એક બેઠક થઈ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તમામ રાજ્યોના મહાસચિવોની આ બેઠકની અધ્યક્ષતા કરી. આ સમય દરમિયાન તમામ જનરલ સેક્રેટરીઓએ નડ્ડાને પોત-પોતાના રાજ્યોમાં આપવામાં આવેલી જવાબદારી નિભાવવા અંગે જાણકારી આપી. બેઠક પૂર્વે ભાજપના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, બેઠકનો હેતુ વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ માટે અમારી તૈયારીઓ કેવા છે તેનો હિસાબ લેવાનો છે.
ચૂંટણી રાજ્યો માટે વ્યૂહરચના પર ભાર!
બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીમાં થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણીીઓ યોજાવાની છે. ભાજપ આ રાજ્યોમાં પોતાનો આધાર વધારવાનો પ્રયાસ કરી રહી છે. સમજાય છે કે સામાન્ય સચિવો સાથેની બેઠક બાદ ભાજપ અધ્યક્ષ આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીની વ્યૂહરચનાને વધુ ધાર આપશે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય અધિકારીઓની બેઠકના કાર્યસૂચિ, રાજ્ય એકમો દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમો અને ચૂંટણી રાજ્યો માટેની તૈયારીઓ અંગે મંથન કરવામાં આવ્યું હતું. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડુતો ત્રણ કૃષિ કાયદાને લઈને છેલ્લા ત્રણ મહિનાથી રાજધાની દિલ્હીની વિવિધ સરહદો પર આંદોલન કરી રહ્યા છે. આંદોલનકારી ખેડૂત સંગઠનો આંદોલનને દેશવ્યાપી બનાવવા અને પીએમ મોદી પર સતત આકરા પ્રહાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.