22 May, 2020 10:15 AM IST | Delhi | Gujarati Mid-Day Online Correspondent
દક્ષિણ 24 પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે.
આ સદીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું અમ્ફાન પશ્મિમ બંગાળ અને ઓસ્સામાં વિનાશ નોતરીને બાંગ્લાદેશની દિશામાં આગળ વધ્યું છે. આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે ભારે વરસાદની શક્યતા છે. રિપોર્ટ્સ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મૃતકોની સંખ્યા 76 થઈ ગઈ છે. તેમાંથી 19 લોકોના મોત કોલકાતામાં જ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી કોલકાતા જવા રવાના થઈ ગયા છે. તેઓ બંગાળ-ઓરિસ્સામાં એરિયલ સર્વે કરીને નુકસાનનો તાગ મેળવશે. કોરોનાવાઇરસને કારણે બધાં પોતપોતાના ઘરોમાં બંધ હતા અને આજે વડાપ્રધાન પણ કુલ 83 દિવસ પછી પહેલીવાર દિલ્હીની બહાર નીકળ્યા છે. આ પહેલાં તેઓ 29 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ અને ચિત્રકૂટની મુલાકાતે ગયા હતા.
7 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા
વાવાઝોડાંનો વિનાશ ધાર્યા કરતાં વધુ સાબિત થયો છે. વાવાઝોડા દરમિયાન જે એનડીઆરએફની 41 ટીમ કોલકાતા મોકલાઇ હતી તેમાં બીજી ચાર ટીમ કોલકાતા મોકલાઇ છે.આ ઉપરાંત લશ્કર, નેવી અને વાયુ સેનાની ટીમ પણ રેસ્ક્યુમાં જોડાઈ છે. બીજી બાજુ બંગાળ અને ઓરિસ્સામાં પહેલેથી જ 7 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. બંગાળમાં 5 લાખ લોકોને તટીય વિસ્તારમાંથી મુવ કરી દેવાયા છે. બંગાળમાં કોલકાતા, હાવડા, હુગલી સહિત 7 જિલ્લાની હાલત બેહાલ છે.
મમતા બેનરજીએ કહ્યું- રાજ્યને 1 લાખ કરોડનું નુકસાન
મમતા બેનર્જીની અપીલ પર વડાપ્રધાન બંગાળ જવા નીકળ્યા છે. તેમણે ગુરૂવારે વડાપ્રધાનને પશ્ચિમ બંગાળ આવી નુકસાન પર નજર કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આવી તારાજી તેમણે પહેલા ક્યારેય નથી જોઇ. મમતા બેનર્જીના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાને કારણે રાજ્યને એક લાખ કરોડનું નુકસાન થયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે. નવી ઇમારોતો ધરાશયી થઇ ગઇ છે. કોલકાતા સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજળી અને કેબલના પિલર્સ સહિત ટેલિફોન અને ઈન્ટરનેટ લાઈનોને પણ નુકસાન થયું છે. 1200થી વધારે મોબાઈલ ટાવર ખરાબ થઈ ગયા છે. સ્વાભાવિક છે કે અનેક વિસ્તારોમાં નેટવર્ક ઠપ થઈ ગયું છે.