વાયુસેનાના ઍરક્રાફ્ટમાં આસામના હાઇવે પર લૅન્ડ થયા નરેન્દ્ર મોદી

15 February, 2026 09:36 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

દિબ્રૂગઢમાં બની છે એવી ૨૮ ઇમર્જન્સી લૅન્ડિંગ ફૅસિલિટી દેશભરમાં બનાવવામાં આવશે

ભારતીય વાયુસેનાનું C-130 સુપર હર્ક્યુલસ વિમાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામની મુલાકાતે ગયા હતા. આ વખતે તેમણે આસામના દિબ્રૂગઢમાં હાઇવે પર બનેલી ઇમર્જન્સી લૅન્ડિંગ ફૅસિલિટી (ELF) પર ભારતીય વાયુસેનાના C-130 સુપર હર્ક્યુલસ વિમાનથી લૅન્ડિંગ કર્યું હતું. નૉર્થ-ઈસ્ટનાં ક્ષેત્રોની રક્ષા મજબૂત કરવા માટે બનાવેલી આ સુવિધા રફાલ, સુખોઈ-૩૦ અને C0130 જેવાં વિમાનોના ટેક-ઑફ અને લૅન્ડિંગ માટે બની છે. એનું રિહર્સલ પણ થઈ ચૂક્યું છે. 

ચીનની સીમાથી આ હાઇવે નજીક હોવાથી યુદ્ધના સમયમાં ભારતનાં નૉર્થ-ઈસ્ટ રાજ્યોને આ હાઇવે દ્વારા વૈકલ્પિક રનવે મળી રહેશે. 

દેશભરમાં ૨૮ ઇમર્જન્સી લૅન્ડિંગ ફૅસિલિટી બનાવવાની યોજના છે. આસામમાં જ પાંચ હાઇવે આવા બનશે જે કટોકટીના સમયમાં રાહત આપશે. ભારતની સુરક્ષા અને રણનીતિક તૈયારીઓમાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. 

કેમ જરૂર છે ELFની?

ભારતીય વાયુસેનાના મુખ્ય ઍરબેઝ પર હુમલો થાય કે ત્યાંનો રનવે ક્ષતિગ્રસ્ત થઈ જાય તો આ ફૅસિલિટી વૈકલ્પિક જગ્યા પૂરી પાડશે. અહીં વિમાનો તહેનાત થઈ શકશે, અહીંથી ઉડાન પણ ભરી શકશે અને લૅન્ડ પણ થઈ શકશે. એનાથી પૂર્વનાં રાજ્યોમાં હવાઈ ઑપરેશન્સના વધુ વિકલ્પો ગોઠવવામાં મદદ થશે. આ હાઇવે સ્ટ્રિપ હેલિકૉપ્ટરોની મદદથી ઘાયલોને કાઢવા માટે તેમ જ પૂર્વીય વિસ્તારોમાં કટોકટીના સમયે રાહતસામગ્રી પહોંચાડવા જેવાં મિશનોના કામમાં આવશે. દેશમાં રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન ઍરફોર્સ દ્વારા મળીને ૨૮ આવી સુવિધાઓ બનાવવામાં આવશે. 

નરેન્દ્ર મોદીએ ઇમર્જન્સી લૅન્ડિંગ ફૅસિલિટી પર ઇન્ડિયન ઍરફોર્સનાં ફાઇટર જેટ્સ અને ટ્રાન્સપોર્ટ હેલિકૉપ્ટર્સ દ્વારા થયેલા એરિયલ ડિસ્પ્લેને પણ નિહાળ્યું હતું. આ ઇવેન્ટમાં તેઓ ચીફ ઑફ ઍર સ્ટાફ ઍર ચીફ માર્શલ અમરપ્રીત સિંહને પણ મળ્યા હતા.

national news india narendra modi assam indian air force