22 November, 2022 10:00 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મોરબીમાં ઝૂલતો પુલ પડી જવાની ઘટનાને સુપ્રીમ કોર્ટે મોટી દુર્ઘટનાસમાન ગણાવી હતી તેમ જ ગુજરાત હાઈ કોર્ટને સમયાંતરે એની તપાસ, પુનવર્સન અને વળતરનાં પાસાં પર ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટની બેન્ચે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે તપાસપંચની નિમણૂક કરવામાં આવે એવી રજૂઆતને ફગાવી દીધી હતી. જજે કહ્યું હતુ કે ‘કેટલીક વખત કમિશન બનાવવાને કારણે મુખ્ય મુદ્દો ભુલાઈ જાય છે. અમે આ મામલે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ એક બહુ મોટી દુર્ઘટના છે. આની તપાસ માટે કૉન્ટ્રૅક્ટરને આપવામાં આવેલો કૉન્ટ્રૅક્ટ, દોષિતોને શોધવા માટે સાપ્તાહિક રીતે દેખરેખ રાખવી પડી છે. હાઈ કોર્ટે આ જવાબદારી સંભાળી લીધી છે, નહીં તો અમે નોટિસ આપી હોત.’
મોરબી પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં ૪૭ બાળકો સહિત ૧૪૧ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મોરબીમાં મચ્છુ નદી પર બ્રિટિશ કાળ દરમ્યાન બનાવવામાં આવેલો આ પુલ ૩૦ ઑક્ટોબરે તૂટી પડ્યો હતો.