29 October, 2020 07:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુપ્રિમ કોર્ટ
મેટરનીટી લીવ બાબતે સુપ્રિમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે એક કેસના સંદર્ભમાં સ્પષ્ટતા કરી કે, કોઈ મહિલા કર્મચારી બાળજન્મ, સુવાવડ માટે રજા પર જાય તો તેના આધારે તેને નોકરીમાંથી દુર કરી શકાય નહી.
દિલ્હી યુનિવર્સીટીના અરબિન્દો કોલેજના એડ હોક ડયુટી પર નોકરી કરતા મહિલા કર્મચારીએ મેટરનીટી લીવ લેતા તેની નોકરી સમાપ્ત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તે આદેશ રદ કરી મેટરનીટી લીવના લાભ સાથે તે મહિલા પ્રોફેસરને ફરી નોકરીમાં લેવાના આદેશ આપતા જણાવ્યું કે માતા બનવાથી મહિલાઓની કાર્યક્ષમતા કોઈ રીતે ઘટતી નથી.
અગાઉ હાઈકોર્ટે પણ આ મહિલા પ્રોફેસરની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો પણ યુનિવર્સિટીના મેનેજમેન્ટે તેની સામે સુપ્રીમમાં રીટ કરી તે સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે રૂા.50000નો દંડ પણ કોલેજને ફટકાર્યો હતો. તેમ જ સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાની પ્રશંસા કરી હતી.
સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, કોઈપણ મહિલાને તેની નોકરી અને માતા બનવાનો વિકલ્પ પસંદ કરવા જણાવી શકાય નહી. જો તે માતા બનશે તો તેની નોકરી જશે તેવું વલણ સ્વીકાર્ય બની શકે નહી.