24 September, 2025 10:05 PM IST | Pahalgam | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં બુધવારે એક મોટી સફળતા મળી છે. જુલાઈમાં ઑપરેશન મહાદેવ દરમિયાન જપ્ત કરાયેલા હથિયારોની ફોરેન્સિક તપાસ બાદ પોલીસે મોહમ્મદ કટારિયાની ધરપકડ કરી હતી.
૨૨ એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા. તેમની ધાર્મિક માન્યતાઓ વિશે પૂછ્યા પછી તેમને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી. આ હુમલામાં પાકિસ્તાનના TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) આતંકવાદી સંગઠનનો સમાવેશ થાય છે. આ હુમલાની ભારતમાં વ્યાપક નિંદા અને પાકિસ્તાન સામે ગુસ્સો ફેલાયો હતો.
આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં વળતા હુમલાઓ શરૂ કર્યા, જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. સરકારે અગાઉ સિંધુ જળ સંધિ રદ કરવા સહિત અનેક મોટા પગલાં લીધા હતા. ત્યારબાદ, મે મહિનાની શરૂઆતમાં, ઑપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાન અને PoK ના અનેક શહેરોમાં હવાઈ હુમલાઓ દ્વારા નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી તણાવ ચરમસીમાએ પહોંચ્યો. ભારતીય હવાઈ હુમલામાં ઘણા પાકિસ્તાની એરબેઝ પણ નાશ પામ્યા હતા.
પહલગામ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓનો બદલો લેવા માટે જુલાઈમાં ઑપરેશન મહાદેવ શરૂ કરવામાં આવ્યું હતું. 28 જુલાઈના રોજ, ભારતીય સેનાએ આ ઑપરેશનમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ - સુલેમાન, અફઘાન અને જિબ્રાન - ને ઠાર કર્યા હતા, જે લશ્કરની સંડોવણીની પુષ્ટિ કરે છે. TRF લશ્કર સાથે જોડાયેલું એક આતંકવાદી સંગઠન છે. તે સમયે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઑપરેશન સિંદૂર અને ઑપરેશન મહાદેવ દ્વારા, વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતના સુરક્ષા દળોએ વિશ્વના કોઈપણ આતંકવાદી હુમલાનો સૌથી સચોટ અને ઝડપી જવાબ આપ્યો હતો.
તેનો દેખાવ સરળ છે, પણ તેની વિચારસરણી એટલી ખતરનાક છે કે...
મોહમ્મદ યુસુફ કટારિયાની પહલગામ હુમલામાં આતંકવાદીઓને મદદ કરવાના આરોપસર જમ્મુ અને કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી. યુસુફ કટારિયાના જે પહેલા ફોટા સામે આવ્યા છે તેમાં તે એક સામાન્ય યુવાન જેવો દેખાઈ રહ્યો છે અને તેનો ચહેરો પણ સરળ છે. પરંતુ તેની ખતરનાક વિચારસરણી કેટલી હદ સુધી છે તે ધીમે ધીમે બહાર આવશે.
આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
પહલગામ આતંકવાદી હુમલાના લગભગ પાંચ મહિના પછી, જમ્મુ અને કાશ્મીર પોલીસે બુધવારે દક્ષિણ કાશ્મીરના યુસુફ કટારિયાની ધરપકડ કરી. જમ્મુ અને કાશ્મીરમાં રહેતા 26 વર્ષીય શિક્ષક યુસુફ કટારિયા લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પહલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને કથિત રીતે લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.
ઑપરેશન મહાદેવમાંથી ક્લૂ મળ્યો હતો
જમ્મુ અને કાશ્મીર પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે ઑપરેશન મહાદેવમાં માર્યા ગયેલા લશ્કર આતંકવાદીઓ પાસેથી મળેલા સાધનો અને શસ્ત્રોમાંથી મોહમ્મદ કટારિયાને શોધી કાઢ્યો હતો. સુરક્ષા દળોએ પહલગામ હુમલા માટે જવાબદાર ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતા.