03 February, 2026 05:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય - પીટીઆઈ
સંસદના બજેટ સત્રના પાંચમા દિવસે આજે લોકસભામાં ફરી એકવાર હંગામાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તકના મુદ્દે રાહુલ ગાંધી અને સરકાર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી. હંગામા દરમિયાન પીઠાસીન અધિકારી તરફ કાગળો ઉછાળવા બદલ કોંગ્રેસના અમરિંદર સિંહ રાજા વડિંગ અને મણિકમ ટાગોર સહિત કુલ 8 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બપોરે 2 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તકનો એક ભાગ રજૂ કર્યો હતો. રાહુલે આરોપ લગાવ્યો હતો કે, "હું દેશની સુરક્ષા અને લદ્દાખમાં શહીદ થયેલા સૈનિકોનો મુદ્દો ઉઠાવી રહ્યો છું, પરંતુ સત્તાધારી પક્ષના સાંસદો મને બોલવા દેતા નથી." તેમણે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન દબાણમાં છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે પણ રાહુલ ગાંધીએ 46 મિનિટ સુધી બોલવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન રાજનાથ સિંહ અને અમિત શાહ સહિતના વરિષ્ઠ મંત્રીઓએ તેમને અનેકવાર ટોક્યા હતા.
ગૃહમાં હંગામો એટલો વધી ગયો હતો કે વિપક્ષી સાંસદોએ પીઠાસીન અધિકારી કૃષ્ણા પ્રસાદ તેન્નેટીની ચેર તરફ કાગળો ઉછાળ્યા હતા. આ ગેરવર્તણૂક બદલ નીચે મુજબના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે: અમરિંદર સિંહ રાજા વડિંગ, પ્રશાંત પરોલે, એસ. વેંકટરમણ, મણિકમ ટાગોર, કિરણ કુમાર રેડ્ડી, હિબી ઈડન, ગુરજીત ઓજલા, ડીન કુરિયાકોસ સવારથી જ લોકસભામાં પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર થતા રહ્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે સૂત્રોચ્ચાર નિયમોની વિરુદ્ધ છે, પરંતુ હોબાળો શાંત ન થતા ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી હતી. બીજી તરફ, NDA સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાનનું ટ્રેડ ડીલ બદલ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઓગસ્ટ 2020ના લદ્દાખ વિવાદ અંગે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર સરકાર અને વિપક્ષ વચ્ચે પહેલેથી જ ઉગ્ર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન, લોકસભામાં નવો હંગામો ત્યારે શરૂ થયો જ્યારે વિરોધ પક્ષના કોઈ સભ્યએ કથિત રીતે `યાર` શબ્દનો પ્રયોગ કર્યો. હાઉસ ચેરમેન (પીઠાસીન અધિકારી) તરીકે ફરજ બજાવી રહેલા કૃષ્ણ પ્રસાદ તેન્નેટીએ આ બાબતે કડક વાંધો ઉઠાવ્યો અને કોંગ્રેસના સાંસદોને ફટકાર લગાવી. તેમણે આ શબ્દને અસંસદીય અને વાંધાજનક ગણાવ્યો હતો, જોકે કોંગ્રેસના સાંસદોએ તેને ગંભીરતાથી ન લેતા કહ્યું કે તેમાં કંઈ ખોટું નથી. કાર્યકારી અધ્યક્ષે વિપક્ષના નેતાઓને સખત શબ્દોમાં કહ્યું, "તમે ચેર (પીઠાસીન અધિકારી) ને `યાર` કહી શકો નહીં."