16 January, 2021 12:52 PM IST | New Delhi
ફાઈલ તસવીર
ત્રણ કેન્દ્રીય પ્રધાનો સાથે ગઈ કાલે થયેલી નવમા રાઉન્ડની મીટિંગમાં પ્રદર્શનકારી ખેડૂતો નવા વિવાદિત કૃષિ કાયદાને પાછા ખેંચવાની પોતાની માગણી પર અડગ રહ્યા હતા, જ્યારે સરકારે ખેડૂત સંગઠનના નેતાઓને કૃષિ કાયદાને પાછા ખેંચવાને બદલે તેમાં સુધારા કરવાનું સૂચન કર્યું હતું. જોકે લાંબો સમય ચાલેલા આ વાર્તાલાપને અંતે મીટિંગ અનિર્ણીત રહી, આગામી મીટિંગ ૧૯ જાન્યુઆરીએ યોજવાનો નિર્ણય લેવાયો હતો.
ખેડૂતો સાથેની વાતચીત બાદ કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમારે કહ્યું હતું કે યુનિયન સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વાતચીત થઈ હતી. સરકારે ખેડૂતોની શંકાનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો તેમ છતાં ચર્ચા અનિર્ણિત જ રહી હતી. કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમારે કહ્યું હતું કે ખેડૂતો અનૌપચારિક ગ્રુપ બનાવીને કૃષિ કાયદા પરનો પોતાનો વિરોધ સરકાર સમક્ષ ડ્રાફ્ટના સ્વરૂપમાં આપશે તો સરકાર તે વિશે ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર છે.