કાશ્મીરની અલગતાવાદી નેતા આસિયા અંદ્રાબીને દિલ્હીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

25 March, 2026 10:54 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીની એક કોર્ટે કાશ્મીરી અલગતાવાદી આસિયા અંદ્રાબીને અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે.

આસિયા અંદ્રાબી દુખ્તરન-એ-મિલ્લત

દિલ્હીની એક કોર્ટે કાશ્મીરી અલગતાવાદી આસિયા અંદ્રાબીને અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) હેઠળ આજીવન કેદની સજા ફટકારી છે. તેની બે સહયોગીઓ સોફી ફેહમીદા અને નાહિદા નસરીનને જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાના હેતુથી આતંકવાદી સંગઠન ચલાવવા બદલ ૩૦-૩૦ વર્ષની જેલની સજા ફટકારી છે. તેમને ૧૪ જાન્યુઆરીએ દેશ સામે યુદ્ધ છેડવા બદલ ગુનાહિત કાવતરાની દંડનીય કલમ હેઠળ દોષી ઠેરવવામાં આવી હતી. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દલીલ કરી હતી કે તેમણે ભારત વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે અને દેશ વિરુદ્ધ કોઈ પણ કાવતરું અટકાવવા માટે મજબૂત સંદેશ આપવો જરૂરી છે.

આસિયા અંદ્રાબી કોણ છે?

કાશ્મીરની ૬૨ વર્ષની આસિયા અંદ્રાબી દુખ્તરન-એ-મિલ્લત (DEM)ની સ્થાપક છે, જેની સ્થાપના શરૂઆતમાં એક સામાજિક સુધારણા જૂથ તરીકે કરવામાં આવી હતી. ૨૦૧૮માં કેન્દ્ર સરકારે આ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું અને એના પર પ્રતિબંધ મૂક્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદ થયા પછી આસિયા અંદ્રાબી નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (NSA) હેઠળ NIA કોર્ટ દ્વારા દોષી ઠેરવવામાં આવેલી બીજી અલગતાવાદી નેતા છે. NIAના જણાવ્યા અનુસાર આરોપીઓએ તેમના પ્રતિબંધિત સંગઠન DEMનો ઉપયોગ અશાંતિ ભડકાવવા અને જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાની માગણીને પ્રોત્સાહન આપવા માટે કર્યો હતો. આસિયા અંદ્રાબી સામે જમ્મુ અને કાશ્મીરમાં ૩૩ ફરિયાદો નોંધાયેલી છે.

national news india delhi news new delhi Crime News jammu and kashmir national investigation agency