19 May, 2020 12:34 PM IST | Karnataka | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
કોરોના વાયરસ (COVID-19)ને પગલે દેશભરમાં લૉકડાઉન 4.0 લાગૂ કર્યું છે. જેમા રાજ્ય સરકારને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો કહેવામાં આવ્યું છે. આ આદેશ મુજબ કર્ણાટકમાં બસ, ટ્રેન સહિતની તમામ વસ્તુઓમાં છુટછાટ આપવામાં આવી છે. સાથે જ 31 મે સુધી રાજ્યમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તામિલનાડુના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મુક્યો છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તામિલનાડુ આ ચાર રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ બહુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એટલે જ હાલ આ રાજ્યના લોકોને કર્ણાટકમાં એન્ટ્રી આપવામાં નહીં આવે. આ સાથે જ કર્ણાટકમાં બસ સેવા ચાલુ કરવાનું કહેવામાં આવ્યું છે. બસમા મુસાફરી કરનારાઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાવવામાં આવશે. તેમજ અન્ય પ્રદેશોમાંથી આવનારા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવશે. બસ સેવાની સાથે પ્રદેશમાં ઓટો અને ટેક્સી સેવા ચાલુ કરવામાં આવશે અને સલુન પણ ખોલવામાં આવશે.
કર્ણાટકમાં દર રવિવારે આખા રાજ્યમાં લોકડાઉન રહેશે. એટલે રવિવારે ન તો બસ ચાલશે કે ન કોઈ કેબ, ટેક્સી સેવા ચાલુ રહેશે. આ સાથે દુકાનો પણ નહીં ખુલે. ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમ્યાન તમામ ગાર્ડનો ખોલવામાં આવશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારોમાં લોકો અવરજવર કરી શકશે. જો કે, 31 મે સુધી જીમ ખોલવાની પરવાનગી નથી.
સોમવારે મુખ્ય પ્રધાનની આગેવાનીમાં બોલાવેલી મંત્રીઓની બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.