22 September, 2022 03:54 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સુપ્રીમ કોર્ટ
કર્ણાટક (Karnataka)માં હિજાબ પ્રતિબંધ વિરુદ્ધની અરજીઓ પર આજે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન જ્યારે એડવોકેટ જનરલ પ્રભુલિંગ નવદગીએ કર્ણાટક સરકાર વતી દલીલો રજૂ કરી ત્યારે વરિષ્ઠ વકીલ સલમાન ખુર્શીદે અરજદાર વતી દલીલો રજૂ કરી હતી. હિજાબ પ્રતિબંધને પડકારતી અરજીઓની સુનાવણી જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે કરી હતી.
શું છે હિજાબ વિવાદ?
કર્ણાટકમાં હિજાબનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઉડુપીની એક સરકારી શાળામાં કેટલીક વિદ્યાર્થીનીઓને ક્લાસમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આને લઈને દેશના ઘણા ભાગોમાં દેખાવો થયા હતા. આ દરમિયાન 8 ફેબ્રુઆરીએ માંડ્યામાં PES કૉલેજની અંદર, કેસરી શાલ પહેરેલા છોકરાઓએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. જે બાદ વિવાદ વકર્યો હતો. 19 વર્ષની મુસ્કાન ખાને જય શ્રી રામના નારા લગાવતા ભીડની સામે અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા હતા. ત્યારબાદ આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે હિજાબ ઈસ્લામ ધર્મનો અભિન્ન ભાગ નથી, તેથી રાજ્ય સરકારને તેને શાળાઓની અંદર ગણવેશનો ભાગ બનાવવાનો નિર્દેશ આપી શકાય નહીં.
કર્ણાટક હાઈકોર્ટનો શું નિર્ણય હતો?
હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટે વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દેતા કહ્યું કે હિજાબ ધર્મનો ફરજિયાત ભાગ નથી. વિદ્યાર્થીઓ શાળા-કોલેજમાં યુનિફોર્મ પહેરવાની ના પાડી શકે નહીં. કોર્ટે કહ્યું કે ઇસ્લામમાં હિજાબ પહેરવું ફરજિયાત નથી. કોર્ટે કહ્યું હતું કે શાળાના ગણવેશ અંગેની જવાબદારી યોગ્ય સંચાલનની છે. વિદ્યાર્થી કે વિદ્યાર્થીની તેને નકારી શકે નહીં. ચુકાદા બાદ તમામ જજોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની બેંચ 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી માટે રચવામાં આવી હતી. છોકરીઓ વતી એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે તેઓને ક્લાસ દરમિયાન પણ હિજાબ પહેરવાની છૂટ હોવી જોઈએ, કારણ કે હિજાબ તેમના ધર્મનો આવશ્યક ભાગ છે.