28 December, 2023 10:10 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : ભારત સરકારે ભારત વિરોધી એક સંગઠન વિરુદ્ધ આકરી ઍક્શન લીધી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે કહ્યું હતું કે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર નામના એક સંગઠનના એક જૂથને આતંકવાદ વિરોધી કાયદા યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ) હેઠળ ગેરકાયદે સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.
આ સંગઠનનો નેતા મસરત આલમ છે, જે ઑલ ઇન્ડિયા હુર્રિયત કૉન્ફરન્સના કટ્ટરપંથી ગ્રુપનો વચગાળાનો અધ્યક્ષ છે. અમિત શાહે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘આ સંગઠન અને એના મેમ્બર્સ જમ્મુ-કાશ્મીરમાં દેશવિરોધી અને અલગતાવાદી ઍક્ટિવિટીઝમાં સામેલ છે અને આતંકવાદી ઍક્ટિવિટીઝને સપોર્ટ આપે છે તેમ જ જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપવા માટે લોકોને ઉશ્કેરે છે.’
ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ‘આ સંગઠન એના ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પ્રૉપગૅન્ડા માટે જાણીતું છે. એના લીડર્સ પાકિસ્તાન અને એનાં પ્રોક્સી સંગઠનો સહિત જુદા-જુદા સોર્સિસ પાસેથી ફન્ડ્સ કલેક્ટ કરવામાં સંકળાયેલાં છે.’