12 September, 2025 12:39 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય પીટીઆઈ
22 જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે એકાએક રાજીનામું આપી દીધા બાદ આ પદ ખાલી હતું અને ત્યાર બાદ 9 સપ્ટેમ્બરના ચૂંટણી થઈ. આ પહેલીવાર હતું, જ્યારે રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખડ સાર્વજનિક રીતે જોવા મળ્યા. તેમના સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને હામિદ અંસારી પણ શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા.
દેશના નવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનનો આજે શપથગ્રહણ સમારોહ હતો. તેમણે પદ તેમજ ગોપનીયતાના શપથ લીધા. આ અવસરે તેમના પહેલા ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલા જગદીપ ધનખડ પણ પહોંચ્યા, જેમણે 22 જુલાઈના એકાએક રાજીનામું આપ્યા બાદ પદ ખાલી થયું હતું અને પછી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી થઈ. આ પહેલીવાર હતું, જ્યારે રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખડ સાર્વજનિક રીતે જોવા મળ્યા. તેમના સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને હામિદ અંસારી પણ શપથ સમારોહમાં પહોંચ્યા. રાજીનામાં બાદથી જગદીપ ધનખડ જોવા મળ્યા નહોતા અને વિપક્ષ તરફથી સતત પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા કે આખરે તેઓ ક્યાં છે અને કેમ છે?
જ્યારે જગદીપ ધનખડ સમારોહમાં પહોંચ્યા, ત્યારે તેઓ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા અને શાહે તેમનું સ્વાગત કર્યું. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ પણ ધનખડને મળ્યા અને તેમની તબિયત પૂછી. જ્યારે શ્રી રાધાકૃષ્ણન શપથગ્રહણ માટે પહોંચ્યા, ત્યારે ધનખડ ઉભા થયા અને તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ થોડી ક્ષણો માટે એકબીજા સાથે વાત કરી. તમને જણાવી દઈએ કે ધનખડે 22 જુલાઈના રોજ સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી, તેઓ દોઢ મહિનાથી વધુ સમયથી કોઈ કાર્યક્રમમાં જોવા મળ્યા નથી.
તેમની હાજરીથી આવી બધી અટકળોનો અંત આવ્યો છે. તેઓ શપથગ્રહણ સમારોહમાં મહેમાન તરીકે પહોંચ્યા હતા અને તેમના પહેલા રાષ્ટ્રપતિ રહેલા વેંકૈયા નાયડુ અને હામિદ અંસારી સાથે બેઠા જોવા મળ્યા હતા. આ પ્રસંગે, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, હરિયાણાના નાયબ સિંહ સૈની અને ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ આ સમારોહનો ભાગ બન્યા હતા.
NDA સૂત્રોનું કહેવું છે કે શુભ મુહૂર્ત જોયા પછી રાધાકૃષ્ણનનો શપથ સમારોહ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી મોહન માઝી, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, ઝારખંડના સંતોષ ગંગવાર, ચંદીગઢના પ્રશાસક ગુલાબચંદ કટારિયા પણ હાજર રહ્યા હતા. રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. 9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં તેમને કુલ 452 મત મળ્યા હતા, જ્યારે વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી માત્ર 300 મત મેળવી શક્યા હતા.
સીપી રાધાકૃષ્ણનને કહેવામાં આવે છે તમિલનાડુના મોદી
ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા હતા. હવે મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપવામાં આવ્યો છે. રાધાકૃષ્ણનને તમિલનાડુના મોદી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કોઈમ્બતુર બેઠક પરથી બે વાર લોકસભા ચૂંટણી જીતી હતી. આ ઉપરાંત, તેઓ તમિલનાડુના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.