24 June, 2025 11:15 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુદ્ધ અને એમાં અમેરિકાની એન્ટ્રી સાથે સંઘર્ષમાં વધારો થવાની આશંકાને કારણે ભારતમાં પંજાબના ટૂરિઝમ સેક્ટરને ભારે અસર થવાની શક્યતા છે. જુલાઈ અને ઑગસ્ટમાં અમ્રિતસરમાં ઇઝરાયલ, ઈરાન, ફ્રાન્સ, સ્પેન અને ઇટલીથી મોટા પ્રમાણમાં ટૂરિસ્ટો આવે છે, કારણ કે જુલાઈના પહેલા અઠવાડિયામાં આ દેશોમાં ઉનાળાની રજાઓ શરૂ થાય છે. મે મહિનામાં ભારત-પાકિસ્તાન સરહદ સંઘર્ષને કારણે અહીંના ટૂરિઝમ સેક્ટરને ભારે ફટકો પડ્યો હતો અને એની નુકસાનીમાંથી બિઝનેસ ધીમે-ધીમે બહાર આવી રહ્યો છે ત્યારે ઇઝરાયલ-ઈરાન યુદ્ધ શરૂ થયું છે.
આ સંદર્ભમાં ઇન્ડિયન અસોસિએશન ઑફ ટૂર ઑપરેટર્સના પંજાબ ચૅપ્ટરના ચૅરમૅન ગુરિન્દર સિંહ જોહલે જણાવ્યું હતું કે આ દેશોમાંથી આવતા પ્રવાસીઓનાં પગારધોરણ સારાં હોવાથી અહીં તેઓ ઘણો ખર્ચ કરે છે.
બીજી તરફ ઉડ્ડયન નિષ્ણાતોના મતે વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા સંઘર્ષોને કારણે ઍરલાઇન્સને લાંબા રૂટ અપનાવવાની ફરજ પાડી છે, જેને લીધે હવાઈ દરમાં વધારો થયો છે. આનાથી ઘણા પ્રવાસીઓ તેમના વેકેશન-પ્લાન્સ કૅન્સલ કરી રહ્યા છે.