ઈરાન-ઈઝરાયલના તણાવ વચ્ચે એરલાઇન્સે એડવાઇઝરી જાહેર કરીઃ મધ્ય પૂર્વ, અમેરિકા અને યુરોપની ફ્લાઇટ્સ રદ

25 June, 2025 06:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Iran-Israel Conflict: કતારમાં યુએસ લશ્કરી મથક પર ઈરાનના મિસાઈલ હુમલા પછી, મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે, જેની ઉડ્ડયન ક્ષેત્ર પર ખરાબ અસર પડી છે : ભારત સહિત વિશ્વભરમાંથી મધ્ય પૂર્વ અને યુરોપ જતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઈરાન અને ઈઝરાયલ (Iran-Israel Conflict) વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઈરાને અમેરિકા (United States of America)ના યુદ્ધવિરામના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. કતાર (Qatar)માં અમેરિકન બેઝ પર ઈરાનના હુમલા બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધ (Tension in Middle East)ની સ્થિતિ ઉભી થઈ છે, જેની સૌથી મોટી અસર ઉડ્ડયન પર જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ (Middle East) સહિત પૂર્વી અમેરિકા (Eastern America) અને યુરોપ (Europe) જતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ઈરાન (Iran)એ કતારમાં અમેરિકાના સૌથી મોટા લશ્કરી બેઝ, અલ-ઉદેદ એરબેઝ (Al-Udeid Airbase) પર છ મિસાઇલો છોડી હતી. હુમલા પછી તરત જ, કતાર, કુવૈત (Kuwait), ઇરાક (Iraq) અને સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)એ તેમના હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધા હતા. ભારત (India) સહિત વિશ્વના વિવિધ દેશોની મધ્ય પૂર્વમાંથી પસાર થતી ફ્લાઇટ્સ તાત્કાલિક રદ કરવામાં આવી હતી. લખનઉ (Lucknow)થી દમ્મામ (Dammam), મુંબઈ (Mumbai)થી કુવૈત અને અમૃતસર (Amritsar)થી દુબઈ (Dubai) જતી ફ્લાઇટ્સ અરબી સમુદ્રથી જ પરત ફરી હતી.

મંગળવારે સવારે એર ઇન્ડિયા (Air India)એ મધ્ય પૂર્વ, અમેરિકાના પૂર્વ છેડા અને યુરોપ (Europe) જતી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. આ માહિતી આપતાં એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ‘મધ્ય પૂર્વ, અમેરિકાના પૂર્વ કિનારા અને યુરોપ તરફની તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી રહી છે. અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ્સ પણ એરપોર્ટ પર પાછી ફરી છે.’ એર ઇન્ડિયાએ ઉમેર્યું હતું કે, ‘ફ્લાઇટ્સ રદ થવાને કારણે ઘણા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અમે બધા મુસાફરો પાસેથી સહયોગની અપેક્ષા રાખીએ છીએ. અમે સુરક્ષા સલાહકારોના સંપર્કમાં છીએ. પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ અપડેટ આવશે તો બધા મુસાફરોને જાણ કરવામાં આવશે.’

આ સંદર્ભમાં માહિતી આપતાં, ઇન્ડિગો (IndiGo)એ જણાવ્યું હતું કે, ‘મધ્ય પૂર્વમાં બગડતી પરિસ્થિતિને કારણે, ઘણી ફ્લાઇટ્સ મોડી પડી શકે છે અને ડાયવર્ટ થઈ શકે છે. અમે મુસાફરોને એરપોર્ટ પર આવતા પહેલા તેમની ફ્લાઇટ્સની સ્થિતિ તપાસવાની સલાહ આપીએ છીએ.’

નોંધનીય છે કે, કતારે ગઈકાલે રાત્રે લગભગ ૯ વાગ્યે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. આ સમય દરમિયાન, ભારતના વિવિધ શહેરોથી ઘણા વિમાનો દોહા માટે ઉડાન ભરી હતી, જેમને રનવે પર પાછા બોલાવવામાં આવ્યા હતા. મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની અપેક્ષા છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં એર ઈન્ડિયા, ઈન્ડિગો, અમીરાત ગ્રુપ (Emirates Group), કતાર એરવેઝ (Qatar Airways), એતિહાદ (Etihad), અકાસા (Akasa), સ્પાઈસજેટ (SpiceJet), એર અરેબિયા (Air Arabia) જેવી ઘણી એરલાઈન્સ છે. તે જ સમયે, ભારતમાંથી મોટાભાગની ફ્લાઈટ્સ દોહા, અબુ ધાબી અને દુબઈ જાય છે. આવી સ્થિતિમાં, મધ્ય પૂર્વમાં વધતા તણાવની અસર ભારતની ઘણી વિદેશી ફ્લાઈટ્સ પર પડી શકે છે.

airlines news iran iraq israel united states of america europe qatar kuwait united arab emirates air india indigo spicejet national news news