04 October, 2022 09:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રચંડ
ઇન્ડિયન ઍરફોર્સમાં ગઈ કાલે સ્વદેશમાં નિર્મિત ૧૦ હેલિકૉપ્ટરનો સમાવેશ થયો હતો. આ હેલિકૉપ્ટરથી ઍરફોર્સની તાકત વધી ગઈ છે. ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ અને ઍરફોર્સ ચીફ માર્શલ વી. આર. ચૌધરીની હાજરીમાં જોધપુરમાં એક સમારોહમાં હેલિકૉપ્ટરોનો ઍરફોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ હેલિકૉપ્ટરોનું નામ ‘પ્રચંડ’ રાખવામાં આવ્યું છે. રાજસ્થાનના જોધપુર ઍરબેઝ સ્ટેશનથી રાજનાથ સિંહની હાજરીમાં પ્રચંડે પહેલી ઉડાન ભરી હતી.
રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘આ હેલિકૉપ્ટરથી આપણી સેનાની ક્ષમતામાં વધારો થશે. વળી નવરાત્રિના દિવસોમાં યોદ્ધાઓની ભૂમિ રાજસ્થાનમાં આ હેલિકૉપ્ટરનો સમાવેશ કરવા કરતાં વધારે સારો સમય બીજો કોઈ હોઈ ન શકે. ઍરચીફ માર્શલ ચૌધરીએ કહ્યું હતું કે આ હેલિકૉપ્ટર હિમાલયના ક્ષેત્રમાં કસોટીમાં ખરું ઊતર્યું છે.