18 June, 2022 02:14 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં કોરોનાના કેસમાં તેજી જોવા મળી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 13,216 નવા કેસ નોંધાયા છે. 113 દિવસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં 13,000થી વધુ કેસ નોંધાયા છે. આ કારણે દેશમાં હવે કોરોનાના કુલ 68,108 સક્રિય કેસ છે. તે જ સમયે, અત્યાર સુધી સંક્રમિત લોકોની સંખ્યા પણ વધીને 4,32,83,793 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 2.73 ટકા થઈ ગયો છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. દેશભરમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 196 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
ચેપને કારણે 23 મૃત્યુ
શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 23 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં કેરળના 13, મહારાષ્ટ્રના ત્રણ, કર્ણાટકના બે અને દિલ્હી, મેઘાલય, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના એક-એકનો સમાવેશ થાય છે, જેના કારણે મૃત્યુઆંક વધીને 5,24,840 થયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય ગંભીર બીમારીઓ પણ હતી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 2 કરોડ વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021ના રોજ, તે 3 કરોડને વટાવી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ ચાર કરોડને વટાવી ગયા હતા.