07 July, 2020 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
એક બાજુ ભારત અને ચીન વચ્ચે લગભગ છેલ્લા બે મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સરહદ વિવાદને લઈને કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચીની સેનાની પીછેહઠ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલેની ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે થયેલી મુલાકાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણ સવાલો પૂછયા છે.
ગલવાન ઘાટીમાંથી ચીની સેનાની પીછેહટ બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભારત-ચીન સીમા વિવાદ મુદ્દે સરકારને ત્રણ સવાલ કર્યા છે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે, LAC પર યથાસ્થિતિ નહીં?, રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. તો જૂની સ્થિતિ ફરી યથાવત કરવાની વાત કેમ નહીં?, અને ગલવાન ઘાટીમાં ક્ષેત્રીય સંપ્રભુતાનો ઉલ્લેખ નહીં આપણી સેનાના 20 સૈનિક કેમ માર્યા ગયા? રાહુલ ગાંધીએ પોતાન ટ્વીટર હેન્ડલ પર ભારત અને ચીનની સરકારના નિવેદનો શૅર કર્યા છે.
આ પહેલા રાહુલ ગાંધીએ 4 જૂલાઈએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશભક્તો લદ્દાખી ચીની આક્રમણ સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકારને તેઓની વાત સાંભળવા કહે છે. તેની ચેતવણીને અવગણવી ભારતને મોંઘી પડી શકે છે.