06 August, 2020 04:02 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ભારત-ચીન વચ્ચે વધી રહેલા તણાવ રહદ સવિવાદને લઈ રક્ષા મંત્રાલયે એક દસ્તાવેજ જાહેર કરી ચીની સૈનિકોની ઘૂસણખોરી કરી હોવાની વાત સ્વીકારી હતી. જોકે, હવે નવાઈની વાત એ છે કે રક્ષા મંત્રાલયની વૅબસાઈટ પરથી આ દસ્તાવેજ હટાવી દેવામાં આવ્યા છે. આ દસ્તાવેજમાં મંત્રાલયે સ્વીકાર્યું હતું કે, મે મહિનાથી ચીન સતત LAC (Line of Actual Control) પર પોતાનું અતિક્રમણ વધારતું જઈ રહ્યું છે. ખાસ તો ગલવાન ઘાટી, પેન્ગોગ ત્સો, ગોગરા હોટ સ્પિંગ જેવા વિસ્તારોમાં ઘૂસણખોરીની ઘટનાઓ વધી છે.
રક્ષા મંત્રાલયના દસ્તાવેજ મુજબ, ચીને 17થી 18 મેની વચ્ચે લદાખમાં કુંગરાગ નાલા, ગોગરા અને પેન્ગોલ ત્સો લેકના ઉત્તર કિનારા પર અતિક્રમણ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાંચ મે પછી ચીનનું આ આક્રમક રૂપ LAC પર જોવા મળી રહ્યું છે. પાંચમી અને છઠ્ઠી મેના રોજ જ પેન્ગોગ ત્સો ભારત અને ચીન સેનાની વચ્ચે ઘર્ષણ થયું હતું. પરંતુ આ વિગતો આપ્યાના થોડા સમયમાં જ તમામ દસ્તાવેજો વૅબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
એટલું જ નહીં મંત્રાલયના દસ્તાવેજોમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ વિવાદ લાંબો ચાલી શકે છે. ભારત-ચીન વચ્ચે વિવાદ પુરો થાય તે માટે બન્ને દેશોના કોર કમાન્ડરની વચ્ચે પાંચ વાર મંત્રણા થઈ ચૂકી છે. LAC પર તણાવ તો ઘટ્યો છે, પરંતુ સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયો.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનની વચ્ચેનો વિવાદ તે સમયે વિવાદ વધી ગયો જ્યારે ગલવાન ઘાટીમાં બંને પક્ષો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં ભારતીય સેનાના કર્નલ સહિત 20 સૈનિક શહીદ થયા હતા. તો બીજી તરફ ચીની સેનાના પણ અનેક જવાન હતાહત થયા. આ હિંસક ઘર્ષણ બાદ બન્ને દેશો વચ્ચે મંત્રણા ચાલી રહી છે.