ભારત બન્યું AIનું વિશ્વગુરુ! ૭ સ્તંભવાળા મંત્ર માટે ૮૮ દેશોએ આપ્યું સમર્થન

22 February, 2026 10:26 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ સમિટમાં વિશ્વના શક્તિશાળી દેશોએ એક સૂરમાં માન્યું કે AIના વિકાસ પર કોઈ એક દેશનો એકાધિકાર ન હોવો જોઈએ

ફાઇલ તસવીર

દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ઇમ્પૅક્ટ સમિટ ૨૦૨૬ના સમાપન પર જાહેર કરવામાં આવેલું ‘નવી દિલ્હી ડેક્લેરેશન’ માનવતા માટે સુરક્ષિત ભવિષ્યનો સંકલ્પ છે. ભારતે ફરી એક વાર વસુધૈવ કુટુંબકમની ભાવના વિશ્વ સમક્ષ રજૂ કરીને સ્પષ્ટ કર્યું કે ટેક્નૉલૉજી ત્યારે જ સફળ થાય છે જ્યારે એનો લાભ સમાજની છેલ્લી વ્યક્તિ સુધી પહોંચે છે. 
નવી દિલ્હીમાં આયોજિત AI ઇમ્પૅક્ટ સમિટે AIના ભવિષ્ય માટે એક નવો રોડમૅપ રજૂ કર્યો હતો. ભારત દ્વારા આયોજિત આ સમિટમાં ૮૮ દેશો અને સંગઠનોએ ભાગ લીધો હતો. એમાં ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સિદ્ધાંતને અનુસરીને AIના ફાયદાઓ સમગ્ર માનવતા સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સમિટથી ભારત AIનો વિશ્વગુરુ બન્યો હતો અને આ પ્રસંગે જાહેર કરવામાં આવેલા ૭ સ્તંભોના ડેક્લેરેશનને ૮૮ દેશોએ સમર્થન આપ્યું હતું. 

આ સમિટમાં વિશ્વના શક્તિશાળી દેશોએ એક સૂરમાં માન્યું કે AIના વિકાસ પર કોઈ એક દેશનો એકાધિકાર ન હોવો જોઈએ, એને લોકશાહી રીતે બધા માટે સુલભ બનાવવી જોઈએ. 
આ ઐતિહાસિક ડેક્લેરેશનમાં ૭ સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે શિક્ષણથી લઈને અર્થતંત્ર સુધી દરેક ક્ષેત્રમાં ક્રાન્તિ લાવવાની ક્ષમતા ધરાવે છે. સમિટમાં ભાગ લેનારા દેશોએ સ્વીકાર્યું કે આપણે ટેક્નૉલૉજિકલ વિકાસના એક એવા વળાંક પર ઊભા છીએ જ્યાં આપણા નિર્ણયો આગામી પેઢીનું ભવિષ્ય નક્કી કરશે. આ પ્લૅટફૉર્મ પરથી ભારતે વિશ્વને શીખવ્યું કે AIનો ઉપયોગ ફક્ત વ્યવસાય માટે જ નહીં, સામાજિક ભલાઈ અને આર્થિક સમાનતા માટે પણ થવો જોઈએ. આ સમિટ પણ ખાસ હતી, કારણ કે એમાં માત્ર શ્રીમંત રાષ્ટ્રો જ નહીં પરંતુ વિકાસશીલ દેશોની જરૂરિયાતોને પણ કેન્દ્રમાં રાખવામાં આવી હતી.

AIના ૭ સ્તંભો કયા? આપણા જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવશે?

શિખર સંમેલન દરમ્યાન ૭ મુખ્ય સ્તંભોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
પહેલું ચક્ર હ્યુમન કૅપિટલનો વિકાસ છે, જેનો અર્થ એ છે કે લોકોને AI યુગ માટે તૈયાર કરવા.
બીજા ચક્રનો ઉદ્દેશ સામાજિક સશક્તીકરણ માટે પહોંચ વધારવાનો છે, જેથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આ ટેક્નૉલૉજીનો લાભ મેળવી શકે.
ત્રીજું ચક્ર AI સિસ્ટમ્સની વિશ્વસનીયતા પર ભાર મૂકે છે.
ચોથું ચક્ર ઊર્જા કાર્યક્ષમતા સાથે સંબંધિત છે, જેથી એ પર્યાવરણને નુકસાન ન પહોંચાડે.
પાંચમું ચક્ર વિજ્ઞાનમાં AIના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે.
છઠ્ઠું ચક્ર સંસાધનોનું લોકશાહીકરણ છે.
સાતમું ચક્ર આર્થિક વિકાસ અને સામાજિક ભલા માટે AIનો ઉપયોગ કરવાનું છે.
આ ૭ ચક્ર મળીને એક ઇકોસિસ્ટમ બનાવશે જ્યાં મશીનો માનવો માટે મદદરૂપ થશે, તેમના માટે ખતરો નહીં.

ક્રિટિકલ મિનરલ્સથી લઈને AI સુધી ભારત અને બ્રાઝિલ વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર

ભારતની પાંચ દિવસની મુલાકાતે આવેલા બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ગઈ કાલે તેમની મુલાકાતના ચોથા દિવસે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી અને આ બેઠકમાં બન્ને દેશો વચ્ચે વધતા વેપાર વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભારત અને બ્રાઝિલ વચ્ચે મહત્ત્વપૂર્ણ ખનિજ-કરાર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સહિતના અનેક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. લૅટિન અમેરિકામાં બ્રાઝિલ ભારતનો સૌથી મોટો ટ્રેડ-પાર્ટનર છે. બન્ને દેશો આગામી પાંચ વર્ષમાં વેપારને ૨૦ અબજ અમેરિકન ડૉલર (આશરે ૧,૮૧,૪૬૧ કરોડ રૂપિયા) સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધ થયા છે.

national news india delhi news new delhi ai artificial intelligence indian government tech news