28 May, 2022 12:27 PM IST | Srinagar | Agency
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શ્રીનગર જિલ્લાઓમાં બે અલગ-અલગ અથડામણમાં લશ્કર-એ-તય્યબાના ચાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા ટીવી કલાકારની હત્યા કરનારા બે આતંકવાદીઓ પણ સામેલ છે. પોલીસના પ્રવક્તાએ ગઈ કાલે જણાવ્યું હતું કે પુલવામા જિલ્લાના અવંતિપોરા વિસ્તારમાં ગુરુવારે રાત્રે અથડામણ થઈ હતી. બુધવારે બડગામ જિલ્લામાં ટીવી કલાકાર અમરીન ભટ્ટની હત્યા કરનારા બે આતંકવાદીઓને ઘેરી લેવાયા હતા. કાશ્મીર ઝોનના આઇજીપી વિજય કુમારે ટ્વીટ કર્યું હતું કે ‘ઠાર મરાયેલા બન્ને આતંકવાદીઓ સ્થાનિક નિવાસી હતા. તેમની શાહિદ મુશ્તાક ભટ અને ફરહાન હબીબ તરીકે ઓળખ કરવામાં આવી છે. ’
બીજું એન્કાઉન્ટર શ્રીનગર શહેરના દક્ષિણ એરિયામાં થયું હતું. જેમાં લશ્કર-એ-તય્યબાના બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા. કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં લશ્કર-એ-તય્યબાના સાત અને જૈશ-એ-મોહમ્મદના ત્રણ સહિત ૧૦ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.