પોલીસથી બચવા કાચિંડાની જેમ વેશ અને વેહિકલ બદલ્યાં

22 March, 2023 11:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમ્રિતપાલ પોલીસને થાપ આપવા મર્સિડીઝમાંથી મારુતિ અને એમાંથી બાઇક પર બેસીને ભાગ્યો, જાલંધરનાં ટોલનાકાનાં સીસીટીવી ફુટેજમાં ખાલિસ્તાની નેતા કારની સીટ પર શર્ટ અને પૅન્ટ પહેરીને બેસેલો જોવા મળ્યો

પંજાબ પોલીસે અમ્રિતપાલ સિંહના જુદા-જુદા વેશમાં આ ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા, જેથી તેની ધરપકડમાં લોકો મદદ કરી શકે. અેમાં જોવા મળે છે કે પોલીસથી બચવા માટે તેણે તેના લુકમાં કેટલો બદલાવ કર્યો હતો.

છેલ્લા ચાર દિવસથી હજારો પોલીસ ખાલિસ્તાની નેતા અમ્રિતપાલ સિંહને શોધી રહી છે. સીસીટીવી ફુટેજમાં તે ભાગ્યો હતો ત્યારે ટોલ-પ્લાઝા નજીક દેખાય છે. ૩૦ વર્ષનો ખાલિસ્તાની નેતા શનિવારે સવારે ૧૧.૨૭ વાગ્યે જાલંધરના ટોલ-બુથનાં સીસીટીવી ફુટેજમાં દેખાયો હતો. જ્યારે પંજાબ પોલીસે તેને પકડવા માટેનું ઑપરેશન લૉન્ચ કર્યું હતું ત્યારે તે મારુતિ કારમાં આગળની સીટ પર બેઠો હતો. 

અમ્રિતપાલ શનિવારે પહેલાં મર્સિડીઝ એસયુવીમાં હતો ત્યારે તે શાહકોટના રસ્તા પર હતો. કલાકો બાદ તે પોતાના એક સહયોગીની મારુતિ કારમાં બેઠો હતો ત્યારે તેનાં કપડાં અલગ હતાં, કારણ કે સામાન્ય રીતે તે ઝભ્ભો પહેરતો હોય છે; પરંતુ ફુટેજમાં તેણે ઝભ્ભાને બદલે શર્ટ પહેરેલું દેખાય છે. તેણે પોતાનો ધાર્મિક વેશ બદલીને શર્ટ અને પૅન્ટ પહેર્યાં હતાં અને પાઘડી પણ બદલી નાંખી હતી. ત્યાર બાદ તે પોતાના સાથીઓની મોટરસાઇકલ પર બેસીને ભાગી ગયો હતો. પોલીસે મારુતિ કારને જપ્ત કરી હતી અને અમ્રિતપાલને ભાગવામાં મદદ કરનારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 

શનિવારથી અમ્રિતપાલના કાકાસહિત ૧૨૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એના સંગઠન વારિસ પંજાબ દેના કેટલાક સભ્યોની પણ નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. કેટલાકને બીજેપીના શાસનવાળા આસામમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. ત્રણ દિવસથી બંધ કરવામાં આવેલી ઇન્ટરનેટ સુવિધા ગઈ કાલથી ફરી શરૂ કરાઈ હતી.

૨૩મી ફેબ્રુઆરીના રોજ અમ્રિતપાલના ટેકેદારોએ પોલીસ પર કરેલા હુમલાનાં ત્રણ સપ્તાહ બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેમના કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશન પર તલવાર અને હથિયારો સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસને ધમકી આપી હતી કે જો અમ્રિતપાલના સાથી લવપ્રીત તુફાનને છોડશે નહીં તો ભારે પરિણામો ભોગવવાં પડશે. એક વ્ય​ક્તિ પર કથિત હુમલો અને અપહરણ કરવા બદલ લવપ્રીતની ધરપકડ કરવામાં આવી હતી. અમ્રિતપાલ ૧૯૮૪માં ઑપરેશન બ્લ્યુ સ્ટારમાં માર્યા ગયેલા આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેનો અનુયાયી હોવાનો દાવો કરે છે. એના સમર્થકોમાં તે ભિંડરાવાલે-૨ તરીકે ઓળખાય છે.

national news punjab new delhi delhi police