09 August, 2019 11:58 AM IST | નવી દિલ્હી
પ્રતિકાત્મક તસવીર
આ મહિનાના અંત સુધી ઍર ટ્રાવેલ કરનારા યાત્રીઓને સિક્યૉરિટી-ચેક માટે ઍરપોર્ટ વહેલા પહોંચવાની સૂચના આપી દેવામાં આવી છે. દેશનાં તમામ ઍરપોર્ટ પર સિક્યૉરિટી વધારી દેવામાં આવી છે અને ટર્મિનલ્સમાં યાત્રીઓ તથા વાહનોનું કડક ચેકિંગ થઈ રહ્યું છે, એટલું જ નહીં, શરૂઆતના ચેકિંગ પછી વિમાનમાં ચડતાં પહેલાં પણ વધુ એક વાર યાત્રીઓનું સિક્યૉરિટી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ભારતના સૌથી વ્યસ્ત ઍરપોર્ટ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના યાત્રીઓને કમસે કમ ત્રણથી ચાર કલાક વહેલા ઍરપોર્ટ પર પહોંચવા જણાવ્યું છે. બ્યુરો ઑફ સિવિલ એવિયેશન સિક્યૉરિટીએ ૧૦થી ૩૦ ઑગસ્ટ સુધી વિઝિટર એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે.
જમ્મુ અને કાશ્મીરને લઈને જે ડેવલપમેન્ટ થયું છે એ જોતાં ઍરપોર્ટ આતંકવાદી હુમલાનો સૉફ્ટ ટાર્ગેટ બની શકે એવી સિક્યૉરિટી એજન્સીને આશંકા છે. જૈશ-એે-મોહમ્મદના આતંકવાદીઓ પુલવામા જેવા મોટા આતંકવાદી હુમલાનું ષડ્યંત્ર ઘડી રહ્યા હોવાની માહિતી ગુપ્તચર ખાતાએ કેન્દ્ર સરકારને આપતાં ૭ રાજ્યોમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે.ગુપ્તચર ખાતાના અહેવાલમાં જણાવાયું હતું કે જૈશના આતંકવાદીઓ ભારતીય લશ્કર, લશ્કરી મથકો, પોલીસ અને સિક્યૉરિટી દળ પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. અહીં એ યાદ રહે કે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ થયા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ‘હવે પુલવામા જેવા હુમલા વધુ થશે.’
દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોને સાવધ કરાયાં છે કે તમામ રેલવે-સ્ટેશનો, ઍરપોર્ટ્સ અને મહત્ત્વનાં સ્થળોએ ખાસ બંદોબસ્ત કરવો. ૧૫ ઑગસ્ટ નજીક છે ત્યારે આવા હુમલાની શક્યતા વધી જાય છે એ હકીકત પણ રાજ્યોને જણાવવામાં આવી છે.