31 July, 2025 10:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
સંસદમાં ગઈ કાલે પણ આખો દિવસ ઑપરેશન સિંદૂર અને પહલગામ હુમલા પર જોરદાર ચર્ચા ચાલી હતી. ગઈ કાલે BJPએ જવાહરલાલ નેહરુએ કરેલી ભૂલોને યાદ કરાવી હતી તો આજે સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં કૉન્ગ્રેસે એવો કટાક્ષ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેહરુ બાબતે ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર (OCD)થી પીડિત લાગે છે, કારણ કે તેઓ દર વખતે નેહરુ પર અટકી જાય છે, આજની નિષ્ફળતાઓનો એમની પાસે કોઈ જવાબ નથી.
વિદેશપ્રધાન એસ. જયશંકર અને સ્વાસ્થ્યપ્રધાન જે. પી. નડ્ડાએ તેમનાં ભાષણોમાં ઑપરેશન સિંદૂરની સફળતા જણાવીને ભારપૂર્વક કહ્યું હતું કે ભારતે કોઈના દબાણમાં ઑપરેશન રોક્યું નહોતું, પાકિસ્તાન તરફથી સામેથી હુમલા અટકાવવાની વિનંતી આવી હતી.
અમિત શાહે સંસદમાં કૉન્ગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે આટલાં વરસો આતંકવાદને રોકવા કશું કર્યું નહીં. તમે લોકોએ પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (PoK) આપી દીધું, હવે એને પાછું લેવાની જવાબદારી અમારી છે.’
ઑપરેશન સિંદૂર નામ કેવી રીતે રાખી શકો? : જયા બચ્ચન
સંસદસભ્ય જયા બચ્ચને ઑપરેશન સિંદૂરનું નામ સિંદૂર રાખવા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે હુમલામાં તો મહિલાઓનું સિંદૂર ભૂંસાઈ ગયું હતું તો તમે સિંદૂર નામ કેવી રીતે આપી શકો.