16 October, 2020 08:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને કહ્યું કે, છોકરીઓની લગ્ન કરવાની સાચી ઉંમરને લઈ રચવામાં આવેલી સમિતિનો રિપોર્ટ આવતા જ સરકાર આ મામલે નિર્ણય લેશે. તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનની 75મી વર્ષગાંઠના અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દીકરીઓના લગ્નની સાચી ઉંમર શું હોવી જોઈએ, એ નક્કી કરવા માટે ચર્ચા ચાલી રહી છે. મને દેશભરમાંથી જાગૃત દીકરીઓની ચિઠ્ઠીઓ આવે છે કે ટુંક સમયમાં આ બાબતે નિર્ણય લો. હું એ તમામ દીકરીઓને આશ્વાસન આપુ છુ કે, ટૂંક સમયમાં રિપોર્ટ આવતા જ તેના પર સરકાર કાર્યવાહી કરશે. સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રીએ કરી હતી જાહેરાત તમને જણાવી દઈએ કે, આ વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી સંબોધનમાં મોદીએ યુવતીઓના લગ્નની સાચી ઉંમર નિર્ધારીત કરવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દીકરીઓમાં કુપુષોણ ખતમ થાય, તેમના લગ્નની સાચી ઉંમર શું હોય, તે માટે અમે એક કમિટી બનાવી છે. તેનો રિપોર્ટ આવતા જ દીકરીઓના લગ્નની ઉંમર મામલે ઉચિત નિર્ણય લેવામાં આવશે.
હાલમાં યુવતીઓના લગ્નની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવેલી છે, જ્યારે યુવકની 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, નાની ઉંમરમાં ગર્ભ ધારણ કરવું, શિક્ષાની અછત, જાણકારીનો અભાવ, શુદ્ધ પાણી ન હોવું, સ્વચ્છતાની અછત, આવા અનેક કારણોના કારણે કુપોષણ વિરુદ્ધ લડાઈમાં જે અપેક્ષિત પરિણામ મળવા જોઈએ, તે નથી મળી રહ્યા.