કીર્તિ આઝાદ 15 ફેબ્રુઆરીએ કોંગ્રેસમાં જોડાશે, દરભંગાથી લડી શકે ચૂંટણી

11 February, 2019 02:50 PM IST  | 

કીર્તિ આઝાદ 15 ફેબ્રુઆરીએ કોંગ્રેસમાં જોડાશે, દરભંગાથી લડી શકે ચૂંટણી

કીર્તિ આઝાદ (ફાઇલ)

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માંથી કાઢી મૂકવામાં આવેલા સાંસદ કીર્તિ ઝા આઝાદને લઈને આ એક મોટા સમાચાર છે. તેઓ 15 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. તેમને પાર્ટીનું સભ્યપદ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં આપવામાં આવશે. ત્યારબાદ તેઓ મિથિલાંચલની મુલાકાત કરશે. આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ બિહારની દરભંગા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રહેશે, તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. જોકે, બિહાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ કહ્યું કે હાલ એવું નક્કી નથી. ઉલ્લેખનીય છે કે કીર્તિ આઝાદ લાંબા સમયથી ભાજપમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અરૂણ જેટલી સાથે તેમની દુશ્મની જગજાહેર છે. આ વિવાદમાં તેમને પાર્ટીનું સમર્થન મળ્યું નથી.

કીર્તિ બોલ્યા: દરભંગાથી જ લડશે ચૂંટણી

કીર્તિ ઝા આઝાદે કહ્યું કે કોંગ્રેસમાં સામેલ થયા પછી તેઓ 18 ફેબ્રુઆરીના રોજ પોતાના લોકસભા વિસ્તાર દરભંગા પહોંચશે. ત્યાં સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓની સાથે મીટિંગ કરીને આગળની રણનીતિ નક્કી કરશે. તેમણે કહ્યું છે કે તેઓ દરભંગાથી જ લડશે. આ બાબતે તેમની રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત થઈ ચૂકી છે. તેઓ સતત 3 ટર્મ્સથી દરભંગાનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે, એટલે બીજી જગ્યાએથી ચૂંટણી લડવાનો સવાલ જ ઊભો નથી થતો.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બોલ્યા: હજુ ફાઈનલ નથી આ વાત

કીર્તિ પોતાની ઉમેદવારી ભલે નક્કી માને, પરંતુ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડૉ. મદન મોહન ઝા કંઇક બીજું જ કહી રહ્યા છે. તેમના પ્રમાણે, મહાગઠબંધનમાં સીટ્સને લઈને હજુ કોઇ સંમતિ સધાઇ નથી. સીટની વહેંચણીમાં હજુ 10 દિવસોનો સમય લાગશે. કોંગ્રેસમાં કોણ ક્યાંથી લડશે, તે હજુ નક્કી નથી. તેના પર વાત ચાલી રહી છે. કીર્તિ આઝાદના કોંગ્રેસમાં સામેલ થવાથી પાર્ટીને મજબૂતી મળશે. કોંગ્રેસ તેમનું સ્વાગત કરે છે.

આ પણ વાંચો: PM મોદીએ વૃંદાવનમાં બાળકોને અક્ષયપાત્રની 300 કરોડમી થાળી પીરસી

મિથિલાંચલમાં ચૂંટણીનો ગરમાવો વધ્યો

આઝાદના કોંગ્રેસમાં સામેલ થવાના સમાચારથી મિથિલાંચલમાં રાજકીય ગરમાવો વધ્યો છે. મહાગઠબંધનમાં દરભંગાથી ઉમેદવારીને લઈને મામલો ઉલઝી રહ્યો છે. અત્યાર સુધી વિકાસશીલ ઇન્સાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુકેશ સાહનીની દાવેદારીની ચર્ચા હતી. આઝાદની કોંગ્રેસમાં સામેલ થવાની જાહેરાત અને ક્ષેત્રની દાવેદારીથી મહાગઠબંધનના ઘણા નેતાઓનું ચૂંટણી ગણિત ખળભળી ગયું છે.

kirti azad congress bharatiya janata party