03 October, 2022 12:01 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના ભદોહીમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાને કારણે ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા હતા અને 66થી વધુ લોકો દાઝી ગયા હતા. ઘાયલોમાં 42ને વારાણસી, 18ને ઔરાઈ અને 4ને પ્રયાગરાજ રિફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
ભદોહી જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ રાઠીએ જણાવ્યું કે આ ઘટના ઔરાઈ શહેરમાં સ્થિત દુર્ગા પંડાલની છે. ઘટના સમયે પંડાલમાં લગભગ 200 લોકો હાજર હતા. આરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, આ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાના અહેવાલ છે. આ ઘટનામાં અત્યાર સુધીની માહિતી મુજબ 66 લોકો દાઝી ગયા છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે અમે પહેલાથી જ તમામ સાવચેતી રાખી હતી. પરંતુ આ આગ કેવી રીતે લાગી તે અંગે વિગતવાર માહિતી મેળવવી જરૂરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હોવાનું જણાય છે પરંતુ અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આગનું મુખ્ય કારણ પણ જાણી શકાશે. આ ઘટના પાછળ જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.