જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

11 May, 2021 02:40 PM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

પ્રતીકાત્મક તસવીર

આજે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓને ઠાર માર્યા ગયા છે. આ પહેલા શોપિયાં જિલ્લામાં છઠ્ઠી મેના રોજ થયેલ અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતા. આ દરમ્યાન એક આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું હતું.

અનંતનાગમાં થયેલ અથડામણ બાબતે આઇજી કાશ્મીરે જણાવ્યું હતું કે, આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા. જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં આતંકી ગતિવિધિની સૂચના મળી હતી. જેના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લઇ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘેરાવો સખત થતો જોઈ છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષા દળોએ મોરચો સાંભળ્યો હતો અને ત્રણ આતંકીઓને ઠાર મારવામાં સફળતા મેળવી હતી. જોકે, જ્યારે આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે હજી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પહેલા, ઉપજિલાની પતરાડા પંચાયતના જંગલોમાં લોકોએ રવિવારે મોડી સાંજે કેટલાંક શંકાસ્પદ લોકોને જોયા હતા. જેના પર પોલીસ અને સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, દિવસભર ચાલેલા આ ઓપરેશનમાં સુરક્ષા દળોને સફળતા મળી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર પતરાડા ગામના કેટલાક લોકોએ સુરક્ષા દળોને જણાવ્યું હતું કે, જંગલોમાં રવિવારે મોડી સાંજે કેટલાંક શંકાસ્પદ લોકોને જંગલમાં ફરતા જોયા હતા. પોલીસે આ વાતને ગંભીરતાથી લઈને સેના સાથે મળીને સોમવારે સવારે પતરાડાના જંગલોને ઘેરીને અભિયાન શરૂ કર્યું હતું. દિવસભર ચાલેલ ઓપરેશન બાદ જયારે કઈ ન મળ્યું તો આખરે ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું હતું.

national news jammu and kashmir