18 June, 2021 10:47 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 62, 480 કેસો સામે આવ્યાં છે. જ્યારે 1587 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. એક દિવસમાં 88,977 કોરોના દર્દીઓને ડિચાર્જ કરવામાં આવ્યાં છે.
રાહતની વાત છે કે દેશમાં કોરોનાની બીજી લહેર હળવી બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે કોરોનાને કારણે થતી મોતના આંકડા એક ચિંતાનો વિષય છે, પરંતુ હવે તે આંક પણ ધીમે ધીમે ઘટતો જાય છે. ગુરુવારે કોરોનાને કારણે 1587 લોકોના મોત થયા છે. આ સાતે કુલ મૃત્યુઆંક 3 લાખ 83 હજારે પાર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 2 કરોડ 97 લાખ કરતાં વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 2,85,80,647 દર્દીઓને ડિચાર્જ કરવામાં આવ્યાં છે.
હાલ દેશમાં 7 લાખ 98 હજાર કરતા અધિક લોકો કોરોનાની સારવાર હેઠળ છે. જોકે કોરોના સામે જંગ લડવા રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી રહી છે. રસી માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 26 કરોડ 89 લાખ કરતા પણ અધિક લોકોએ કોરોના રસીના ડોઝ લીધા છે.