05 February, 2020 10:55 AM IST | New Delhi
નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ દિલ્હીના દ્વારકામાં જનસભાને સંબોધન કરતાં કહ્યું કે દિલ્હીની આ ચૂંટણી આ દસકાની પ્રથમ ચૂંટણી છે. દિલ્હી અને દેશમાં આપણે એકસાથે ઊભા રહેવું જોઈએ. દિલ્હીમાં દોષ આપનારી નહીં, પરંતુ દિશા આપનારી સરકાર જોઈએ.
દિલ્હીના દંગલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જોરશોરથી બીજેપીનો પ્રચાર કરી રહ્યા છે. ગઈ કાલે સતત બીજા દિવસે પીએમ મોદીએ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ચૂંટણી-રૅલીને સંબોધી હતી. અહીં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સંબોધન કર્યું હતું. તેમણે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતાં કહ્યું કે વર્તમાન આપ સરકારે લોકોને આપેલાં વચન પૂર્ણ નથી કર્યાં. તેમણે જનતા સાથે દગો કર્યો છે. જે.પી. નડ્ડાએ કહ્યું કે કેજરીવાલ સરકારે દિલ્હીમાં એક પણ નવી સ્કૂલ નથી ખોલી.
જે.પી. નડ્ડા બાદ મંચ પર પીએમ મોદી પહોંચ્યા હતા અને લોકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હીની આ ચૂંટણી દસકાની પ્રથમ ચૂંટણી છે. આ દસકો ભારતનો દસકો બની રહેશે. ભારતની પ્રગતિ આજે લીધેલા નિર્ણયો પર નિર્ભર કરે છે. દિલ્હી અને દેશનાં હિતમાં આપણે એકસાથે ઊભા રહેવું જોઈએ. દિલ્હીમાં દોષ નહીં, પરંતુ દિશા આપનારી સરકાર જોઈએ. વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે દિલ્હીમાં રોડા નાખતી અને નફરત ફેલાવતી રાજનીતિ નથી જોઈતી.