દિલ્હીમાં કોલસા અને લાકડાના તંદૂર પર બૅન: ઉપયોગ સામે સરકાર ફટકારશે આટલો દંડ

16 December, 2025 04:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

મંગળવારે દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) લગભગ 400 નોંધાયો હતો, જે "ગંભીર+" શ્રેણીમાં આવે છે. અગાઉ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ હૉટેલ અને રેસ્ટોરન્ટમાં કોલસા અને લાકડાથી ચાલતા તંદૂર પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પાટનગર દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને લીધે દિલ્હી સરકારે કોલસા અને લાકડાના તંદૂરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) એ હૉટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને રસ્તાની બાજુમાં આવેલા ખાદ્ય પદાર્થોના સ્થળોએ ખુલ્લામાં તંદૂરબાળવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 અને ગ્રેડેડ રિસ્પોન્સ ઍક્શન પ્લાન (GRAP) હેઠળ શુક્રવારે આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ હેઠળ, તમામ ખાણીપીણીની દુકાનોને તાત્કાલિક અસરથી ઇલેક્ટ્રિક અથવા ગૅસ આધારિત તંદૂરનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રતિબંધ પહેલાથી જ ઉચ્ચ પ્રદૂષણ સ્તરે ઉત્સર્જન ઘટાડવાના હેતુથી GRAP પગલાંનો એક ભાગ હતો.

દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ સમગ્ર શહેરમાં ખુલ્લામાં તંદૂરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે, જેમાં જિલ્લા વહીવટીતંત્ર અને MCD ને ઉલ્લંઘન કરનારાઓ પર રૂ. 5,000 સુધીનો દંડ ફટકારવાનો નિર્દેશ આપ્યો છે. "અમે બધા નાગરિકોને નમ્રતાપૂર્વક અપીલ કરીએ છીએ કે ખુલ્લામાં કચરો ન બાળો. તમારી નાની મદદ મોટો ફરક લાવી શકે છે," તેમણે X પર લખ્યું. અધિકારીઓ કહે છે કે દિલ્હીની હવાની ગુણવત્તા હજી પણ ગંભીર સ્થિતિમાં હોવાથી સ્થાનિક પ્રદૂષણ સ્ત્રોતોને નિયંત્રિત કરવા અને જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ સંસ્થાઓને નિર્દેશિત

DPCC એ તેની અમલીકરણ ટીમોને ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે કે તમામ એકમોમાં કોલસા અથવા લાકડાનો ઉપયોગ ન કરે. આ આદેશ તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત વિભાગોને સ્પીડ પોસ્ટ અને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નિયમ તમામ પ્રકારના હૉટેલ પર લાગુ થશે અને ઉલ્લંઘન થતાં દંડ થશે. આ આદેશ બાદ, મ્યુનિસિપલ અને વરિષ્ઠ અધિકારીઓને ખાણીપીણીની દુકાનોનું નિરીક્ષણ કરવા અને કોલસા અથવા લાકડાથી ચાલતા તંદૂરનો ઉપયોગ અટકાવવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં નબળી પડતી હવાની ગુણવત્તાની સમસ્યાને ધ્યાનમાં રાખીને, GRAPનો ચોથો તબક્કો શનિવારે લાગુ કરવામાં આવ્યો હતો. આ તબક્કા હેઠળ, કોલસા સહિત કોઈપણ પ્રકારની બાયોમાસ, કચરો અથવા અન્ય સામગ્રીને ખુલ્લામાં બાળવા પર સખત પ્રતિબંધ છે.

તંદૂર પર પ્રતિબંધનું કારણ

મંગળવારે દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) લગભગ 400 નોંધાયો હતો, જે "ગંભીર+" શ્રેણીમાં આવે છે. અગાઉ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ હૉટેલ અને રેસ્ટોરન્ટમાં કોલસા અને લાકડાથી ચાલતા તંદૂર પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ GRAP હેઠળ ભારતીય હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશન (CAQM) દ્વારા લેવામાં આવેલા પગલાંનો એક ભાગ છે, જેનો હેતુ ગંભીર પ્રદૂષણ સ્તર પર કડક પગલાં લાગુ કરવાનો છે.

new delhi air pollution delhi cm delhi news rekha gupta air quality index