13 September, 2021 02:46 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશની રાજધાની દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સબ્જી મંડી વિસ્તારમાં આવેલી ચાર માળની બિલ્ડિંગ ધરાશયી થઈ ગઈ છે. ગીચ વિસ્તારમાં બિલ્ડિંગના ધરાશયી થવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી સંભાવના છે. આ દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે. પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી.
ઘટના સ્થળે દિલ્હી પોલીસ તાત્કાલિક પહોંચી જતાં બચાવ કામગીરી શરૂ કરી આવી છે. પોલીસની સાથે ફાયર વિભાગની ટીમ પણ બચાવ કાર્યમાં મદદ કરી રહી છે. બિલ્ડિંગના ધરાશયી થતા વાહનો પણ દબાયા હોવાની આશંકા છે.
આ સમાચાર લખાઈ રહ્યાં હતા ત્યાં સુધી મળેલી માહિતી પ્રમાણે કાટમાળ નીચેથી અત્યાર સુધી ત્રણ જણને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં બે બાળકો છે.
બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે મોટો ધડાકો થયો હોવા જેવો અવાજ સંભળાયો હતો. કાટમાળમાં ઘણા વાહનો પણ દબાયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
આ દુર્ઘટના બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેઓ આ મામલે સતત તંત્રના સંપર્કમાં હોવાની વાત કહી હતી.