13 May, 2021 01:03 PM IST | Bangalore | Agency
એચ.એસ. દોરેસ્વામી
બૅન્ગલોરમાં રહેતા ૧૦૩ વર્ષના પાકા ગાંધીવાદી એચ.એસ. દોરેસ્વામી કોરોના ઇન્ફેક્શનથી મુક્ત થઈને સંપૂર્ણ સ્વસ્થ થયા છે. વર્ષ ૧૯૧૮ની ૧૦ એપ્રિલે હરાહોલી શ્રીનિવાસૈયા દોરેસ્વામીનો જન્મ થયો હતો. તેમણે સ્વાતંય સંગ્રામમાં સક્રિયતા દરમ્યાન ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો. એ આંદોલનમાં ભાગ લેવા બદલ વર્ષ ૧૯૪૩ અને વર્ષ ૧૯૪૪ના ગાળામાં તેમણે ૧૪ મહિના જેલવાસ ભોગવ્યો હતો.
શતાયુ દોરેસ્વામીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘પાંચેક દિવસ પહેલાં કોરોના ઇન્ફેક્શનનાં લક્ષણો જણાયાં હતાં, પરંતુ ઝાઝી તકલીફ નહોતી. જોકે શ્વાસ લેવામાં મુશ્કેલી થતાં હું સરકારી શ્રી જયદેવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોવૅસ્ક્યુલર સાયન્સિસ ઍન્ડ રિસર્ચ હૉસ્પિટલમાં દાખલ થયો હતો. હવે મને ડિસ્ચાર્જ આપ્યો છે.’