15 September, 2020 01:12 PM IST | New Delhi | Agency
પ્રતીકાત્મક તસવીર
રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19 મહામારીને હરાવવાના ચાલતા પ્રયત્નોને કારણે ભારતમાં કોવિડ-19 મરણાંક પ્રતિ ૧૦ લાખની વસ્તીએ પંચાવન સુધી સીમિત રહી શક્યો છે, એમ કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડૉ. હર્ષવર્ધને ગઈ કાલે લોકસભામાં જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશમાં પ્રતિ ૧૦ લાખની વસ્તીએ કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા પણ ૩૩૨૮ પર સીમિત રહી છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૯૨,૦૭૧ નવા કેસ વધવા સાથે દેશમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા ૪૮ લાખને વટાવી ગઈ છે, જ્યારે કે ૩૭.૮ લાખ લોકોએ રિકવરી મેળવતાં ગઈ કાલે રિકવરી રેટ વધીને ૭૮ ટકાએ નોંધાયો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
હર્ષવર્ધને જણાવ્યું હતું કે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૮,૪૬,૪૨૭ થઈ છે, જ્યારે કે મરણાંક ૭૯,૭૨૨ પર પહોંચ્યો છે. વિશ્વમાં સૌથી વધુ કોવિડ-19 પેશન્ટ્સની રિકવરીમાં ગઈ કાલે ભારતે ૩૭,૩૦,૧૦૭ રિકવરી સાથે બ્રાઝિલને પાછળ છોડી દીધું હતું.