24 May, 2020 11:04 AM IST | New Delhi | Agencies
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને રોકવા એક પછી એક ચાર-ચાર લૉકડાઉન લગાવવા છતાં કોરોના પૉઝિટિવ કેસ ઓછા થવાને બદલે વધી રહ્યા હોય એમ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૬૬૫૪ કેસ નોંધાયા છે જે અત્યાર સુધીમાં ૨૪ કલાકમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. એની સાથે વધુ ૧૩૭ લોકોનાં મોત પણ થયાં છે અને દેશમાં કોરોના સંક્રમિત કેસો સવા લાખ પર પહોંચી ગયા છે.
ભારતમાં જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં જ્યારે કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારે કોઈએ એવી કલ્પના પણ નહીં કરી હોય કે કેસની સંખ્યામાં ભારત ચીનથી આગળ નીકળી જશે. આ રોગનો વાઇરસ જે દેશે ફેલાવ્યો હોવાનું મનાય છે એ ચીનમાં ૮૦,૦૦૦ કરતાં સહેજ વધારે કેસો નોંધાયા હતા, જ્યારે ભારત હવે એનાથી આગળ નીકળી જઈને સવા લાખ સુધી કેસો પહોંચી ગયા છે જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન જે ૬૬૫૪ કેસ આવ્યા એ અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધારે છે.
કેન્દ્ર સરકારે ૨૫ માર્ચના રોજ લૉકડાઉન-૧ લાગુ કર્યો એ પછી એને લંબાવતાં-લંબાવતાં હવે ૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું છે, પરંતુ પૉઝિટિવ કેસ ઘટવાને બદલે વધી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જે નવા ૬૬૫૪ કેસ એક જ દિવસમાં નોંધાયા એમાં અડધોઅડધ કેસ મહારાષ્ટ્રના છે.
કોરોનાના કારણે દેશમાં ૪૨.૩ ટકા લોકોનાં મોત માત્ર મહારાષ્ટ્રમાં થયાં છે. શનિવાર સવાર સુધી કોરોનાના ૨૯૪૦ નવા કેસ સામે આવ્યા હતા.