Covid-19 Cases: દેશમાં કોરોનાના કેસ 1000ને પાર! રાજધાનીમાં 100 નવા કેસથી હાહાકાર

27 May, 2025 06:57 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Covid-19 Cases: આરોગ્ય મંત્રાલયના આંકડાઓ જણાવે છે કે દેશની અંદર કુલ 1009 સક્રિય કેસોમાંથી 752 કેસો તાજેતરમાં જ નોંધાયા છે.

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં ફરી એકવાર કોરોના (Covid-19 Cases)એ માથું ઊંચક્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. એક જ સપ્તાહની અંદર કોરોનાના કુલ નવા 700 કેસ સામે આવતાં જ ચકચાર મચી જવા પામી છે. માત્ર દિલ્હીણી વાત કરીએ તો ત્યાં જ 100 અને કેરળમાં 400 કેસ નોંધાયા છે. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. 

દેશમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. હાલમાં દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા 1000ને પાર પહોંચી ગઈ છે. કેરળથી કર્ણાટક અને મહારાષ્ટ્રથી દિલ્હી સુધી કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. તે જોતાં જ ચિંતા વધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર દેશમાં અત્યારે કોવિડ-19ના કુલ 1009 સક્રિય કેસ છે. આ વર્ષમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે દેશમાં કોરોનાના કેસ 1000ને પાર કરી ગયા હોય.

આરોગ્ય મંત્રાલયના આંકડાઓ જણાવે છે કે દેશની અંદર કુલ 1009 સક્રિય કેસો (Covid-19 Cases)માંથી 752 કેસો તાજેતરમાં જ નોંધાયા છે. આ વધી રહેલા આંકડાઓ જોતાં એટલું જરૂર કહી શકાય કે દેશમાં કોરોના વાયરસ હવે ફરી ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે. 

દિલ્હીમાં કોરોનાના 100 કેસ

કોરોના (Covid-19 Cases)નો ખતરો હજુ ખતમ થયો નથી. હજી લોકોએ જાગૃત રહેવું પડે એમ છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહીં કોરોના વાયરસના 100થી વધુ કેસ નોંધાયા હોવાની માહિતી સામે આવી છે. દિલ્હીમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ઓછામાં ઓછા ૧૦૪ કોવિડ-19ના કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોવિડના કેસ વધતાં આરોગ્ય વિભાગે સર્વેલન્સમાં વધારો કર્યો છે. આ સાથે જ પરીક્ષણ પર વધારે બહાર મૂકવાનું કહેવામાં આવ્યું છે. 

અન્ય રાજ્યોમાં પણ કોરોનાનો કહેર

દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ કોવિડના કેસો જોવા મળ્યા છે. આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતભરમાં કુલ ૧,૦૦૯ સક્રિય કેસણી નોંધણી કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળમાં ૧૨, રાજસ્થાનમાં ૧૩, ઉત્તર પ્રદેશમાં ૧૫, તમિલનાડુમાં ૬૯, કર્ણાટકમાં ૪૭ અને ગુજરાતમાં ૮૩નો સમાવેશ થાય છે.

સમગ્ર દેશમાં વધી રહેલા કોરોના કેસો (Covid-19 Cases)ને જોતાં ભારતના SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા બે નવા કોરોનાવાયરસ સબવેરિઅન્ટ્સની ઓળખ કરવામાં આવી છે.  NB.1.8.1 અને LF.7 આ બંને વેરિયન્ટ્સને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ચિંતાજનક તરીકે વર્ગીકૃત કરવાને બદલે "નિરીક્ષણ હેઠળના વેરિયન્ટ" તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

બિહારમાં પહેલો કોરોના કેસ નોંધાયો

તે દરમિયાન બિહારમાં કોવિડ-૧૯ના 2 કેસ (Covid-19 Cases) નોંધાય છે. પટનાના ૩૧ વર્ષીય વ્યક્તિમાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એમ આરોગ્ય અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું.

national news india covid19 coronavirus ministry of health and family welfare world health organization delhi news maharashtra news kerala