Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 28,637 કેસ, 551 દર્દીઓનાં મોત

13 July, 2020 10:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 28,637 કેસ, 551 દર્દીઓનાં મોત

મલાડના કન્ટેઈનમેન્ટ ઝૉનમાં કોરોના ટેસ્ટ કરતા પાલિકાના કર્મચારીઓ (તસવીર: પીટીઆઈ)

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે સતત બીજા દિવસે પણ 27,000થી વધુ કેસ નોંધાયા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં શનિવારે સવારે આઠ વાગ્યાથી રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 28,637 નવા કેસ નોંધાયા છે અને 551 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 8,49,553 કેસ નોંધાયા છે. જેમાંથી 2,92,258 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 5,15,385 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 22,674 લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 8,138 નવા કેસ નોંધાયા છે અને 223 લોકોના મોત થયા છે. જ્યારે 4,360 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,46,600 થઈ ગયો છે. તેમાંથી 99,499 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 10,116 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,32,625 લોકો સારવાર બાદ સાજા થયા છે.

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 872 નવા કેસ નોંધાયા હતા અને 10 લોકોના મોત થયા હતા. જ્યારે 502 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 40,941 થઈ ગયો છે. જેમાંથી 10,260 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,032 લોકોના મોત થયા છે અને 28,649 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

coronavirus covid19 national news maharashtra gujarat