03 August, 2021 12:35 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજી પૂરી રીતે ખતમ પણ થયો નથી ત્યાં હવે જાણકારોએ ત્રીજી લહેરને લઈને ચેતવણી જાહેર કરી છે. જાણકારોએ કહ્યું છે કે ઑગસ્ટ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, જેમાં દરરોજ એક લાખ કોરોનાના કેસ જોવા મળી શકે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ખરાબ સ્થિતિમાં કોરોનાના કેસ દોઢ લાખ સુધી પણ પહોંચી શકે છે. ઑગસ્ટ મહિનામાં શરૂ થનારી ત્રીજી લહેરઑક્ટોબરમાં પોતાના પીક પર જઈ શકે છે. હૈદરાબાદ અને કાનપુર આઇઆઇટીમાં મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનિન્દ્ર અગ્રવાલના નેતૃત્વમાં તપાસકર્તાઓનો હવાલો આપતાં બ્લુમબર્ગે જણાવ્યું છે કે કોવિડ-૧૯ના કેસીસમાં થઇ રહેલી વૃદ્ધિ કોરોના વાઇરસ મહામારીની ત્રીજી લહેરને આગળ વધારશે. જાણકારોએ કહ્યુ કે કેરલા અને મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેનાથી સ્થિતિ ખરાબ થઇ શકે છે.જોકે, કોરોનાની ત્રીજી લહેર, બીજી લહેર જેટલી ખતરનાક નહી હોય જ્યારે દેશમાં દરરોજ ૪ લાખ કોરોનાના કેસ જોવા મળી રહ્યા હતા.
40134 - દેશમાં ગઈ કાલે કોરોનાના કુલ આટલા નવા કેસ નોંધાયા હતા અને ૪૨૨ લોકોના મોત થયા હતા.