22 September, 2020 02:55 PM IST | New Delhi | Agency
પ્રતીકાત્મક તસવીર
સતત ત્રીજા દિવસે ૯૦,૦૦૦ કરતાં વધુ રિકવરી સાથે દેશનો કોવિડ-19 સંક્રમિતોનો રિકવરી રેટ વિક્રમી ૮૦ ટકાએ નોંધાયો હોવાનું સરકાર દ્વારા ગઈ કાલે જણાવાયું હતું. દેશમાં કોવિડ-19 રિકવરી રેટ વિક્રમી ૮૦ ટકાએ રહ્યો છે, જે એક સીમાચિહ્ન સમાન છે. દેશમાં સતત ત્રીજા દિવસે ૯૦,૦૦૦ કરતાં વધુ રિકવરી નોંધાવીને ભારતે વિશ્વમાં સૌથી વધુ રિકવરી નોંધાવી છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૯૩,૩૫૬ પેશન્ટને હૉસ્પિટલમાંથી રજા આપવા સાથે દેશમાં કુલ ૪૩,૯૩,૩૯૯ પેશન્ટ કોવિડ-19ના ચેપથી રિકવર થયા છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર ૪ મેએ રિકવરી રેટ ૨૭.૫૨ ટકા હતો, જે ૧૩ જુલાઈએ ૬૩.૦૨ ટકા અને ૨૧ સપ્ટેમ્બરે ૮૦ ટકા નોંધાયો હતો.
છેલ્લા ૨૪ કલાકમાં ૮૬,૯૬૧ નવા કોવિડ-19 કેસ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫૪.૮૮ લાખ નોંધાઈ હતી. જ્યારે કે કુલ ૪૩,૯૬,૩૯૯ પેશન્ટ રિકવર થવા સાથે દેશનો રિકવરી રેટ ૮૦.૧૨ ટકાએ નોંધાયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૩૦ મૃત્યુ સાથે કુલ મરનારની સંખ્યા ૮૭,૮૮૨ની થઈ છે.