07 May, 2020 02:18 PM IST | Hyderabad | Agencies
સુરતથી ઉત્તર પ્રદેશમાં પોતાના ઘર ભણી જવા રવાના થયેલા પરપ્રાંતીઓએ તેમના પરિવાર સાથે પ્રયાગરાજ ખાતે વિરામ લીધો હતો અને ફરી પાછો પ્રવાસ શરૂ કર્યો હતો. તસવીર : પી.ટી.આઈ.
તેલંગણ સરકારે લૉકડાઉનમાં વધારો કર્યો છે. સરકારે ૨૯ મે સુધી લૉકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. તેલંગણ સરકારે કહ્યું કે તે આ સ્થિતિમાં લૉકડાઉન હટાવીને જોખમ લેવા માગતી નથી, જ્યારે રાજ્યમાં કોરોનાના પ્રસારને નિયંત્રિત કરવામાં ખૂબ પ્રગતિ કરી છે. આ પ્રકારે તેલંગણ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે જેને કેન્દ્ર તરફથી જાહેર ૧૭ મે સુધીના લૉકડાઉન પછી પણ લૉકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારે હૈદરાબાદ અને પાંચ અન્ય રેડ ઝોન જિલ્લામાં કોઈ પણ પ્રકારની છૂટ ન આપવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ઑરેન્જ અને ગ્રીન ઝોનમાં આર્થિક ગતિવિધિઓની અનુમતી માટે દિશાનિર્દેશનું પાલન કરવામાં આવશે.
હૈદરાબાદ અને અન્ય રેડ ઝોન જિલ્લામાં માત્ર નિર્માણ ગતિવિધિને છોડીને બાકી કોઈ પણ પ્રકારની ગતિવિધિને પરવાનગી મળશે નહીં. ઉલ્લેખનીય છે કે તેલંગણમાં અત્યાર સુધી કોરોનાના ૧૦૯૬ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૬૨૮ લોકો રિક્વર પણ થઈ ચૂક્યા છે, જ્યારે ૪૩૯ ઍક્ટિવ કેસ છે અને કોરોનાના કારણે ૨૯ લોકોનાં મોત થયાં છે.