06 April, 2020 11:21 AM IST | Delhi | Gujarati Mid-Day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર પીટીઆઇ)
દેશમાં કોરોના પૉઝિટિવ કેસિઝની સંખ્યા દિવસો દિવસ વધી રહી છે ત્યારે ભારત સરકારે તેના સંક્રમણને રોકવા માટે 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. લૉકડાઉન હોવા છતાં પણ સંજોગોવશાત કોરોનાનાં કેસિઝ ઘટવાને બદલે વધી રહ્યા છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે એક નિયત યોજના અનુસાર કોરોનાની લડત ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ યોજનાને સરકારની વેબસાઇટ પર મુકવામાં આવી છે.
આ વ્યુહરચના અનુસાર જે વિસ્તારોમાં વધું સંક્રમણ છે તેને સીલ કરાશે અને મહીના સુધી પુરી રીતે બંધ કરી દેવાશે. જે વિસ્તારમાં કોરોનાનાં દર્દીઓ હશે ત્યાં સ્કૂલ,કૉલેજીઝ અને ઑફિસિઝને બંધ રખાશે અને અહીં કોઇપણ પ્રકારના વાહનવહેવારને છૂટ નહીં અપાય. જ્યાં કોરોનાનો એક પણ દર્દી ન હોય તેવા વિસ્તારો પરથી લૉકડાઉન હટાવી લેવાશે પણ છેલ્લો કેસ પૉઝિટીવ મળ્યો હોય તેના ચાર અઠવાડિયા એટલે કે એક મહિના પછી આ પ્રતિબંધ દૂર કરાશે. કોરોનાનાં દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રખાશે અને આ વોર્ડ્ઝ અને હૉસ્પિટલ માત્રને માત્ર કોરોનાનાં દર્દીઓ માટે જ કાર્યરત હશે. કોરોનાનાં દર્દીનાં બે કેસ નેગેટિવ આવે એ પછી જ તેને હૉસ્પિટલમાંથી રજા અપાશે તે સિવાય નહીં. દર્દીની હાલત અનુસાર તેને ક્યાં એડમિટ કરવો તે નક્કી કરાશે. સાદા ઇન્ફ્લુએન્ઝાની તપાસ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો પર કરાશે પણ કેસિઝમાં અણધાર્યો વધારે થશે ત્યારે સર્વેલન્સ ઑફિસરને આગળની તપાસ કરવા નિમણૂંક કરાશે. સરકારે અત્યારે તો 50 લાખ રેપિડ કિટનો ઓર્ડર પણ આપ્યો છે.