07 April, 2020 12:42 PM IST | Delhi | Gujarati Mid-Day Online Correspondent
મોદી સરકારે ટ્રમ્પને જવાબ આપ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ભારત હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ પરની બંધી દૂર કરે નહિંતર પરિણામ માટે તૈયાર રહે. વિશ્વમાં આ દવાનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. આ સંજોગોમાં વિદેશ મંત્રાલયને નિવેદન આપ્યું છે કે નિકાસની સ્થિતિને આધારે નિર્ણય લેવાશે. ડોનાલ્ડ ટ્રમ્પે બદલો લેવાની વાત કરી અને ધમકી ભર્યા શબ્દો વાપર્યા પણ વિદેશ મંત્રાલયે તેમને જવાબ આપ્યો કે પહેલા ભારતમાં તેની અનિવાર્યતા અને આવશ્યકતાનો ક્યાસ કાઢવામાં આવશે અને પછી વધુમાં વધુ પ્રભાવ અને ઉપયોગ થઇ શકે તે રીતે કોરોનામાં સપડાયેલા દેશોને મદદ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું છે કે, "અમારી પ્રાથમિકતા દેશમાં આવશ્યક દવાઓનો સ્ટોક રાખવાની છે જેથી આપણા લોકોની જરૂરિયાતો પૂરી થઈ શકે." આને લીધે, ઘણી દવાઓ પર થોડા સમય માટે નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ સતત નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 14 દવાઓમાંથી નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેરાસીટામોલ અને હાઇડ્રોક્સીક્લોરોક્વિન વિશે સતત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે, જ્યારે એકવાર ભારતમાં પૂરતો સ્ટોક થશે, ત્યારે તેના આધારે કંપનીઓ દ્વારા નિર્ણય લેવાઈ શકે છે.